ગુજરાતમાં 14 વિધાનસભાના અંતિમ સત્રનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજે છેલ્લા દિવસે ધારાસભ્ય તરીકે ઉમદા કાર્ય કરનારનું સન્માન કરવામાં આવ્યું. શ્રેષ્ઠ ધારાસભ્યો તરીકે ભાજપના જીતુભાઈ સુખડીયા અને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારને એવોર્ડ આપી સન્માનિત કરાયા.
14માં વિધાનસભા સત્ર અંગે જીતુ વાઘાણીનું નિવેદન
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે 14મી વિધાનસભાનું અંતિમ સત્રમાં 7 બીલ રજૂ થયા, 6 બીલ પસાર કરવામાં આવ્યા છે. વિધાનસભામાં 1 બીલ પાછુ ખેંચવામાં આવ્યું છે જે રખડતાં ઢોર નિયંત્રણનું છે.ઉત્સાહ પૂર્વક ભાવનાત્મક વાતાવરણમાં સત્રની સમાપ્તી થઈ છે. આજે 3 બિલો વિધાનસભામાં બહુમત સાથે પસાર કરવામાં આવ્યા.
ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક
ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ
માલ-સેવા વેરા સુધારા વિધેયક
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક
ગુજરાત વિનિયોગ અધિનિયમો વિધેયક
ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક
ઢોર નિયંત્રણ બિલ (પરત)
કોઇ ભૂખ્યો સૂવે નહીં તે માટે અમે સસ્તા અનાજની દુકાનોમાં રાત્રે પણ અનાજ વિતરણ કર્યુ: નરેશ પટેલ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે અમારી સરકાર ઉપર પ્રજાએ છેલ્લા ૨૭-૨૭ વર્ષથી ભરોસો મુક્યો છે તે તૂટે નહીં તેની અમે સતત ચિંતા કરીએ છીએ. ગરીબોની સુખાકારીના સંકલ્પથી એક વર્ષમાં અમારા વિભાગે પ્રયાસો કર્યા છે કે રાજ્યમાં કોઇ ભૂખ્યો સૂવે નહીં તે માટે અમે સસ્તા અનાજની દુકાનોમાં રાત્રે પણ અનાજ વિતરણ કર્યુ છે. ગ્રાહકો અને સસ્તા અનાજની દુકાનદારોના પ્રશ્નો હલ કરવા તેમની રૂબરૂ મુલાકાત કરીને સંવાદ પણ કર્યો છે. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનધારકોને મળતું રૂ.૧૦૮નું કમિશન વધારીને રૂ.૧૪૨ કરવામાં આવ્યું છે જેના કારણે સરકાર પર કરોડોનું ભારણ આવ્યું છે. ઘઉં, ચોખા, દાળ, તેલ અને ફોર્ટિફાઇડ મીઠા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અમારી સરકાર ગુજરાતમાં દર માસે ૭૧ લાખ કાર્ડ હેઠળ અંદાજે ૩.૫ કરોડ નાગરિકોને વિના મૂલ્યે અનાજ આપીને અંત્યોદયની ભાવના સાકાર કરી રહી છે.