સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અગાઉ વિધાનસભાના અધ્યક્ષે મેઇલ પરથી રાજીનામું ન મળ્યું હોવાનો દાવો કરતા કેતન ઇનામદારે કહ્યું કે અધ્યક્ષને રુબરુ ગાંધીનગર જઈને રાજીનામું આપીશ. ત્યારે હવે કેતન ઇનામદારને મનાવવાના ભાજપે પ્રયાસ હાથ ધર્યા છે. ભાજપ સાથે ચર્ચા બાદ કેતન ઇનામદારના સૂર બદલાયા છે.
કેતન ઈનામદાર રાજીનામાના નિર્ણય પર કરી શકે છે ફેરવિચાર
જીતુ વાઘાણી, પ્રદિપસિંહ જાડેજાએ ઈનામદાર સાથે કરી ચર્ચા
ચર્ચા બાદ કેતન ઈનામદારના સૂર બદલાયા
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવવાના ભાજપે પ્રયાસ હાથ ધર્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટે કેતન ઇનામદાર સાથે મુલાકાત કરી હતી. જ્યારે જીતુ વાઘાણીએ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ચર્ચા કરી હતી. ચર્ચા બાદ કેતન ઇનામદારના સૂર બદલાયા છે. ત્યારે હવે ઇનામદાર રાજીનામું પરત લેવા મુદ્દે વિચાર કરી શકે છે.
મહત્વનું છે કે, ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે ચર્ચા બાદ કેતન ઇનામદારે કહ્યું હતું કે, યોગ્ય નિરાકરણ આવશે તો રાજીનામું નહીં આપું. જોકે હાલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇનામદારને મનાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
રંજનબેન ભટ્ટે કેતન ઇનામદાર સાથે લાંબો સમય સુધી ચર્ચા કરી
ભાજપમાં ભડકાના સ્થિતિ ડામી દેવા ભાજપ એક્શનમાં આવી છે. સાવલીના ધારાસભ્યના રાજીનામાથી ભાજપ એક્શનમાં આવ્યું છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટ કેતન ઈનામદારને મનાવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રંજનબેન ભટ્ટે કેતન ઇનામદાર સાથે લાંબો સમય સુધી ચર્ચા કરી હતી. જોકે તેઓ કેતન ઇનામદારને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે હવે કેતન ઇનામદારને મનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને તાત્કાલિક સાવલી મોકલ્યા છે.
રાજીનામાં બાદ કેતન ઇનામદારે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિકાસના કામોને મંજૂરી આપીને તેને શરૂ કરાવે. તો વિધાનસભાના અધ્યક્ષે મેઇલ પરથી રાજીનામું ન મળ્યું હોવાનો દાવો કરતા કેતન ઇનામદારે કહ્યું કે અધ્યક્ષને રુબરુ ગાંધીનગર જઈને રાજીનામું આપીશ. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ તેની માંગણીઓ પૂર્ણ કરશે કે કેમ...