કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. વકીલ દેવજી મહેશ્વરીની હત્યાના તમામ આરોપીઓની ધરપકડ થયા બાદ આખરે પરિવારજનોએ વકીલનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમવિધિ કરી હતી. ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી પણ આ અંતિમયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન મેવાણીએ દલિતો પર અત્યાચાર વધ્યાનો દાવો કર્યો હતો.
રાપરમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે પાંચ દિવસ સુધી દલિત કર્મશીલની લાશ રઝળતી રહે તે રાજ્ય સરકાર માટે કલંકિત ઘટના કહેવાય. આ અગાઉ ઉનાકાંડ, થાનગઢ હત્યાકાંડ અને ભાનુભાઇ વણકર એમ ત્રણેય બહુચર્ચિત કેસમાં પ્રચંડ આંદોલનો છતાં એકપણ કેસમાં પરિવારજનો ન્યાય નથી મળ્યો.
મેવાણીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, પરિવારજનોને સરકાર દ્વારા આપવામાં આવેલા વચન પૂરા કરવામાં આવે. જો વચન પૂરા નહીં થાય તો જીજ્ઞેશ મેવાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તો મેવાણીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, અનામત બેઠક પર ચૂંટાયેલા નેતાઓ ચૂપ કેમ છે?