રાજકોટઃ આજે જસદણની પેટાચૂંટણીની મતગણતરી થશે. જેમાં કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના ભાવીનો ફેસલો થશે. બાવળિયાને ટક્કર આપવા કોંગ્રેસે અવસર નાકિયાને મેદાને ઉતાર્યા હતા ત્યારે અવસર નાકિયા અને કુંવરજી બાવળિયાના બન્નેનું પાણી મપાશે. આ ચૂંટણીમાં 71.27 ટકા જેટલુ જંગી મતદાન નોંધાયું હતું.
જેના પરિણામમાં કુલ આઠ ઉમેદવારના ભાવીનો ફેસલો થશે. ત્યારે કોની જીત થશે તે મહત્વનું સાબિત થઈ રહેશે કારણ કે પેરાશુટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયાને મંત્રી પદ જાળવવા માટે જીત જરૂરી છે. જ્યારે જસદણનો ગઢ બચાવવા માટે કોંગ્રેસે પણ જીત મેળવવી જરૂરી છે.
બાવળિયાનો જીતનો દાવો
જસદણની પેટા ચૂંટણીનું પરિણામને આંગળીના વેઢે ગણી શકાય તેટલી ઘડીઓ બાકી છે ત્યારે બન્ને પક્ષ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાનો દાવો છે કે તેઓ અત્યાર સુધીની સૌથી વધુ લીડ સાથે વિજય મેળવશે. કારણ કે તેઓએ જસદણમાં જનતાના કામો કર્યો છે અને હવે તેઓ કેબિનેટ મંત્રી હોવાથી તેનો લાભ જસદણને અપાવી શકશે.