રાજ્યસભામાં કેટલીક બેઠકો માટે ચૂંટણી થવાની છે ત્યારે સૂત્રો અનુસાર રિલાયંસ ગ્રુપમાં કૉર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને ઝારખંડથી રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી જગનરેડ્ડીએ રાજ્યસભાની ટીકીટ ઓફર કરી છે. નોંધનીય છે કે ટૂંક સમય પહેલા જ રેડ્ડીએ મુકેશ અંબાણી અને નાથવાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારે જો તેઓ આ ઓફર સ્વીકારે છે તો તે ત્રીજી વખત રાજ્યસભા પહોંચશે.
એપ્રિલ મહિનામાં રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે નાથવાણી
આંધ્રપ્રદેશથી મળી રાજ્યસભાના ટીકીટની ઓફર
વર્ષ 2008માં બન્યા હતા રાજ્યસભા સાંસદ
હાલમાં જ રિલાયંસના માલિક મુકેશ અંબાણીએ પુત્ર અનંત અને પરિમલ નાથવાણી સંગ રેડ્ડી સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ વેપાર મુદ્દે નહીં પણ રાજનીતિક વર્તુળોમાં આ મુલાકાતની ચર્ચા થઇ રહી છે. જગનમોહન રેડ્ડીએ ગયા વર્ષે મેં મહિનામાં સરકાર રચી હતી. જે બાદ તે બંને વચ્ચેની આ પહેલી મુલાકાત હતી.
પરિમલ નાથવાણી એપ્રિલ મહિનામાં ઝારખંડની સીટ પરથી નિવૃત્ત થઇ રહ્યા છે. જે બાદ સૂત્રોનું માનવું છે કે નાથવાણીને આંધ્ર-પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યસભાનાં ટીકીટની ઓફર કરી છે. જો નાથવાણી આ ઓફરનો સ્વીકાર કરે છે તો તેમની પાસે ત્રીજી ટર્મમાં રાજ્યસભામાં જવાની તક છે.
ક્યારે બન્યા રાજ્યસભા સાંસદ
પરિમલ નાથવાણી વર્ષ 2008 અને વર્ષ 2014માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઝારખંડથી ચૂંટાઈ આવ્યા હતા. નાથવાણીની બીજી ખાસ વાત એ છે કે પરિમલ નાથવાણી રાજ્યસભા એક સક્રિય સાંસદ છે. આ વર્ષે બજેટ સેશન દરમિયાન 31મી જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનાં સમયગાળામાં નાથવાણીએ 16 સવાલો કર્યા હતા.
પરિમલ નાથવાણી મુકેશ અંબાણીની કોર ટીમમાં સામેલ છે. ધીરુભાઈના વિશ્વાસુ ગણાતા પરિમલ નાથવાણીને વર્ષ 2016માં કૉર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.
જામનગરમાં રીફાઈનરી બનાવી ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન પૂરું કરવાનો ફાળો પરિમલ નાથવાણીને જાય છે સાથે જ નાથવાણી દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં સભ્યપદ ધરાવે છે.