શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલાના રામપુર સેક્ટરમાં ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી છે. સેના સાથે થયેલી અથડામણમાં 4 આતંકીઓ ઠાર થયા છે. આ વિસ્તારમાં અન્ય આતંકી છુપાયેલા હોવાની આશંકા સાથે સેનાએ આ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આર્મી ઓફિસરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. આતંકીઓ ફસાઇ ગયા છે અને બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે.
આ પહેલા કાશ્મીરના ઉરી સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેના પર શુક્રવાર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)એ હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરીને પાક.ના BATનાં 2 જવાનોને ઠાર કર્યા હતા. આ લોકો ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા. ઠાર કરાયેલા પાકના જવાનો પાસેથી એક AK 47 રાઇફલ એક પિસ્ટલ અને હથિયારો મળી આવ્યા હતા.
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ LOC પર પાકિસ્તાન આવા હુમલાની ફિરાકમાં જ છે. PoKમાં આવા 4-5 આતંકી કેમ્પ સક્રિય છે.