ચૂંટણી પંચે ઈન્કમટેક્સ વિભાગ સામે લાલ આંખ કરી અને કહ્યું કે, કોઈ પણ દરોડા પાડો ત્યારે ચૂંટણી પંચને પણ આ મામલે જાણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નજીકના લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશ અને દિલ્લીમાં તાજેતરમાં ઈન્કમ ટેક્સ વિભાગે પાડેલા દરોડાને લઈને ચૂંટણી પંચ નારાજ થયુ છે. ચૂંટણી પંચે ઈન્કમટેક્સ વિભાગ સામે લાલ આંખ કરી અને કહ્યું કે, કોઈ પણ દરોડા પાડો ત્યારે ચૂંટણી પંચને પણ આ મામલે જાણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નજીકના લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
જો કે વિપક્ષે આ દરોડાને રાજકીય કાર્યવાહી અને બદલાની ભાવના ગણાવી હતી. ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો, મધ્યપ્રદેશમાં જે દરોડા પાડવામાં આવ્યા તે અંગે ચૂંટણી પંચને જાણકારી આપવામાં આવી ન હતી. જેથી ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણી આચાર સંહિતા લાગુ છે.
આવામાં ભ્રષ્ટાચાર સંબંધિત કોઈ પણ દરોડા કે કાર્યવાહી કરવામાં આવે તે પહેલા ચૂંટણી પંચ કે રાજ્યના ચૂંટણી અધિકારીને પણ જાણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 20 કરોડના હવાલાનો મામલો પણ સામે આવ્યો છે.
ઇન્કમટેક્સ દ્વારા પાડવામાં આવેલા આ દરોડાને કોંગ્રેસે કેન્દ્ર સરકારની નિરાશા બતાવી હતી. જ્યારે કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે સરકારી એજન્સીઓનો દુરપયોગ કરી સરકાર વિપક્ષો પર દબાણ લાવી રહી છે.
ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં ચૂંટણીસભામાં સંબોધનમાં આ દરોડાને લઇને નિવેદન આપતાં કહ્યું હતું કે જે લોકો ચોકીદારને ચોર કહી રહ્યાં હતાં તેમના જ નજીકના લોકોના ઘરેથી જ રોકડ રકમ મળી છે.