ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે પોતાના પ્રશ્નો મૂકવા હાઇકમાન્ડના શરણે જવનું મન માનવી લીધું છે. તેમણે આ મુદે રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.
ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક મુદ્દે મહત્વના સમાચાર
રાહુલ ગાંધી સાથે મુલાકાત માટેનો માંગ્યો સમય
નરેશ પટેલે પણ હાર્દીકને રાહુલ ગાંધી સાથે મુલાકાતની આપી હતી સલાહ
ચુંટણીના માહોલ વચ્ચે કોઇ પણ પાર્ટીઓના અગ્રણીઓની નારાજગી અને આંતરિક ટાંટિયાખેંચ ખૂલીને બહાર આવતી હોય છે. તકવાદી અને નારાજ નેતાઓના વંડીઠેકના પણ કિસ્સાઓમાં ઉછાળો આવતો હોય છે. તેવા સંજોગો વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વથી નારાજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલે પોતાના પક્ષ પ્રત્યેના પ્રશ્નોને લઈને હાઇકમાન્ડના શરણે જવનું મન માનવી લીધું છે. આ મુદ્દે રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય પણ માંગવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં પક્ષમાં ઉચ્ચ કક્ષાએથી હાર્દિક પટેલ માટે રાહતનું તેડુ આવશે કે નારાજ હાર્દિક પટેલ કોઈ મોટો ધડાકો કરશે? તેના પર સૌની મીટ મડાઈ છે.
હાર્દિક હાઈકમાન્ડના શરણે
ગુજરાત વિધાનસભાની ચુંટણીનું ચાલુ વર્ષના અંતમાં આગમન થશે. આવા ખરા ટાણે રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે તિરાડ વધી રહી છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચા અને અટકળોઓ જોર પકડયું છે. પણ હવે હાર્દિક પટેલની નારાજગી દૂર થઇ શકે તેવા અણસાર વર્તાઇ રહે છે. ગુજરાતની નેતાગીરીથી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હાર્દિક પટેલે છેક દિલ્હી સુધી સંપર્ક દોડાવ્યો છે. નોંધનીય છે કે જો રાહુલ ગાંધી હાર્દિકની રજૂઆત સાંભળવા માટે સમય આપશે તો બંને વચ્ચે મુલાકાત થઇ શકશે. એક ચર્ચા મુજબ પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેનનરેશ પટેલે પણ હાર્દીકને રાહુલ ગાંધી સાથે મુલાકાતની સલાહ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શિસ્ત ભંગની કાર્યવાહી થશે તેવા એંધાણ
પાટીદાર યુવા મોટો ચહેરો અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સતત ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને ટાર્ગેટ કરી રહ્યા છે. એક બાદ એક બાદ નિવેદનો આપી હાર્દિક કોંગ્રેસની નારાજ હોવાનું રટણ કરી રહ્યો છે. રાહુલ ગાંધીને ફરિયાદ કરી નિવેડો લાવવાની વાત કરી રહ્યો છે પણ હવે ગુજરાત પ્રદેશ નેતૃત્વએ પણ હાર્દિક પટેલ સામે બાયો ચડાવી છે. પાર્ટીમાં શિસ્તભંગ મુજબ હાર્દિક પટેલ પર કોઈ મોટી કાર્યવાહી થશે તેવા એંધાણ વર્તાઇ ચૂક્યા છે.
કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ: અર્જુન મોઢવાડીયા
વિવાદ વકરાતા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. એક બાદ એક નેતા હાર્દિક સામે આડકતરી રીતે પ્રહાર કરી રહ્યા છે અને શિસ્ત ભંગની કાર્યવાહીનો અંદેશો પણ આપી રહ્યા છે.હાર્દિક પટેલની નારાજગી મુદ્દે અર્જુન મોઢવાડિયાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમને સ્પષ્ટ રીતે વાત મૂકતાં કહ્યું છે કે કાર્યકરો કે આગેવાનોએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહીં. લક્ષ્મણ રેખામાં ન રહે તો પક્ષ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે. કોંગ્રેસ કામ કરવા અંગે કે આગેવાની કરવા માટે કોઈને રોકતુ નથી. કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ. હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી. હાર્દિક પટેલે જવાબદારી નિભાવવી જોઈએ.
હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે: પૂર્વ પ્રદેશપ્રમુખે માર્યો ટોણો
હાર્દિકની નારાજગી અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ભરતસિંહે જણાવ્યું કે, 'હાર્દિક પટેલ અંગે હાર્દિકને પૂછવું જ યોગ્ય કહેવાય. કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે. જ્યારે જે પણ નિર્ણય લેવા પડશે તે નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે. કોંગ્રેસ બંધારણ પ્રમાણે નેતૃત્વ નિર્ણય કરશે. હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે. એમને હું ક્યાં સલાહ આપવા જઉં.'
હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતાઃ જગદીશ ઠાકોર
હાર્દિક પટેલથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. કારણ કે હાર્દિક પટેલ જાહેરમાં નિવેદન આપી નારાજ હોવાની વાતો વહેતી કરે છે. જેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈ કાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા, હાર્દિક કોઇ પણ પ્રકારનો સંવાદ નથી કરતા. આ વલણ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કહેવાનો કારસો રચાઇ ગયો છે. હાર્દિક પટેલ સામે પ્રદેશ કોંગ્રેસ શિસ્ત ભંગની કાર્યવાહી કરી સસ્પેન્ડ સુધીના પગલાં લઈ શકે છે.
કોંગ્રેસે હાર્દિકને નાની ઉંમરમાં મોટી જવાબદારી સોંપી: અમિત ચાવડા
તો સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્દિક પટેલને ટકોરની ભાષામાં કહ્યું છે કે નિમંત્રણ હોવા છતાં ચિંતન શિબિરમાં હાર્દિક કેમ નથી આવ્યા તે હું નથી જાણતો પણ કોંગ્રેસે નાની ઉમંરમાં હાર્દિકને સૌથી મોટી જવાબદારી સોંપી છે. ત્યારે હવે હાર્દિકને સમજવાની જરૂર છે કે આ જવાબદારી શિરે લઈ પાર્ટી માટે સારું કરે.
અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી આજ દિન સુધી કંઇ લીધુ નથી: હાર્દિક
આ સિવાય હાર્દિકે કોંગ્રેસથી નારાજગી મુદ્દે જણાવ્યું કે, "જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'