એક બાજુ ISROના વૈજ્ઞાનિકો Chandrayaan-2ની લોન્ચિંગની તૈયારી કરી રહ્યાં છે, દેશનું નામ રોશન કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યાં. ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ISROના વૈજ્ઞાનિકના પગાર કાપવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્ર સરકારે 12 જૂન 2019ના રોજ જાહેર કરેલા આદેશ મુજબ ઇસરોના વૈજ્ઞાનિક અને એન્જિનીયરોને વર્ષ 1996થી બે વધારાના વેતનની વૃધ્ધિ તરીકે મળી રહેલી પ્રોત્સાહન રકમ બંધ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારના આ આદેશમાં જણાવાયું છે કે 1 જૂલાઇ 2019થી આ પ્રોત્સાહન રકમ બંધ થઇ જશે. આ આદેશ બાદ D, E, F અને G વર્ગના વૈજ્ઞાનિકોને હવે આ પ્રોત્સાહિત રકમ નહીં મળે. ISROમાં અંદાજે 16 હજાર વૈજ્ઞાનિક અને એન્જિનીયર છે.
પરંતુ આ સરકારી આદેશના કારણે ISROમાં અંદાજે 85થી 90 ટકા વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોના પગારમાં 8થી 10 હજારનું નુકસાન થશે. જેનું મુખ્ય કારણ છે કે ISROમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકોમાં ઘણાબધા આ કેટેગરીમાં આવે છે. જેને લઇને ISROના વૈજ્ઞાનિકો નારાજ છે.
ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે ISRO તરફ કામ કરવાની ધગશ વધે તેમજ સંસ્થાને છોડી ને ન જાય તે માટે 1996થી આ રકમ આપવાની શરૂઆત થઇ હતી. કેન્દ્ર સરકાર તરફતી જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે છઠ્ઠા પગાર પંચની ભલામણના આધારે નાણાં મંત્રાલય અને ખર્ચ વિભાગે અંતરિક્ષ વિભાગને સલાહ આપી છે કે આ પ્રોત્સાહન રકમ બંધ કરવામાં આવે. તેની જગ્યાએ હવે માત્ર પરફોર્મન્સ રિલેટેડ ઇન્સેટિવ સ્કીમ (PRIS) લાગુ કરવામાં આવે છે.