મુકેશ અંબાણી પોતાના 3 સંતાન વચ્ચે બિઝનેસની વહેંચણી કરવાની તૈયારી કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર 200 અબજ ડૉલરના કારોબારના 3 ભાગ પડી શકે છે. કોરોના સમયે અંબાણીએ બિઝનેસ માટે 6.5 અબજ ડૉલર એકઠા કર્યા હતા. હવે અંબાણી ઓઈલ કારોબાર પર નિર્ભરતા ઘટાડવાને લઈને અનેક ક્ષેત્રમાં કારોબાર વિસ્તારવા માંગે છે. આ કારણે શક્ય છે તે તેઓ આકાશ, ઈશા અને અનંત વચ્ચે બિઝનેસને વહેંચી દે. જો કે આ માટે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ જે રીતે કંપની રિટેલ અને ડિજિટલ કારોબાર વધારી રહી છે તે રીતે સત્તા જલ્દી આવનારી પેઢીના હાથમાં આવી શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં થશે વહેંચણી!
મુકેશ અંબાણી કરી રહ્યા છે વિચારણા
3 સંતાન વચ્ચે વહેંચાશે બિઝનેસ
વહેંચણીમાં વિવાદ ન થાય તે માટે ફેમિલી કાઉન્સિલ
મુકેશ અંબાણીએ હજુ સુધી આ મામલે કોઈ જાહેરાત નથી કરી પરંતુ રિલાયન્સની ડિજીટલ કંપની જીયોએ ફેસબુક, ગૂગલ જેવી કંપનીમાં રોકાણ કર્યું છે. ઈશા અને આકાશે કંપનીના ડિજિટલ કારોબારમાં ઉતરવા ભાર મુક્યો છે. અંબાણીના બાળકો પોતાની પસંદના આધારે પહેલાંથી જ રિલાયન્સ કારોબારમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. મુકેશ અંબાણી જોડિયા બાળકો ઈશા અને આકાશને પોતાની કંપનીના ડિજિટલ કારોબારમાં ઉતરવા પર ભાર આપી રહ્યા છે.
અંબાણી ફેમિલી કાઉન્સિલ બનાવવા અંગે વિચારી રહ્યા હોવાના અહેવાલ
મળતી માહિતી અનુસાર અંબાણી ફેમિલિ કાઉન્સિલ બનાવવાની કવાયતમાં છે જેથી કારોબારને આવનારી પેઢી સુધી સરળતાથી ટ્રાન્સફર કરી શકાય. આ ફેમિલી કાઉન્સિલમાં આકાશ, ઈશા, અનંતની સાથે પરિવારના એક વડીલ સભ્ય હશે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે કારોબારની વહેંચણીમાં વિવાદ થયો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી ઈચ્છે છે કે તેમના સંતાનો વચ્ચે આ વિવાદ ન થાય માટે તેઓ આ વિચારણા કરી રહ્યા છે.