કોરોનાએ સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધી દુનિયામાં 1.3 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં આ આંકડો 400ને વટાવી ગયો છે. જેથી દેશમાં હાલ 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ હજી સુધી આઈપીએલને લઈને કોઈ નિર્ણય લીધો નથી. બીસીસીઆઈના સૂત્રો મુજબ આઈપીએલને હાલ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
કોરોનાને કારણે રમત જગત થંભી ગયું
BCCI આઈપીએલ રદ્દ નથી કરવા માંગતુ
જોકે, હજી આઈપીએલને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી
3 મે પછી જ બીસીસીઆઈ આઈપીએલ અંગે કોઈ નિર્ણય લેશે. બીસીસીઆઈ ઉતાવળમાં આઈપીએલ અંગે કોઈ મોટો નિર્ણય લેવા માંગતુ નથી, કારણ કે આઈપીએલ ન રમાવાથી કારણે બીસીસીઆઈ અને તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને ભારે નુકસાન વેઠવું પડશે.બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલ રદ થતાં 3000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. બીસીસીઆઈ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જેથી નાના સ્તરે પણ કોઈક રીતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે અને આટલા મોટા નુકસાનને ટાળી શકાય.
બીસીસીઆઈએ આઈપીએલની વીમા પોલિસીમાં મહામારીને લગતી જોગવાઈઓ મૂકી નહોતી. જો આઈપીએલ રદ કરવામાં આવે છે, તો તેની અસર તમામ ફ્રેન્ચાઇઝી, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સને પડશે. એવું પણ થઈ શકે છે કે આઇપીએલ ન રમાવાથી ખેલાડીઓને પૈસા પણ નહીં મળે.
આઈપીએલ ફ્રેન્ચાઇઝીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આઈપીએલમાં ટૂર્નામેન્ટ શરૂ થયાના એક અઠવાડિયા પહેલાં 15 ટકા પૈસા આપવામાં આવે છે. ટૂર્નામેન્ટ દરમિયાન 65 ટકા આપવામાં આવે છે. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ બાકીના 20 ટકા નિર્ધારિત સમયની અંદર આપવામાં આવે છે.
અધિકારીએ કહ્યું હતું કે, બીસીસીઆઈની ખાસ માર્ગદર્શિકા છે. હાલ કો પણ ખેલાડીને કંઇ આપવામાં આવ્યું નથી. બીસીસીઆઈ પ્લેયર્સ એસોસિએશન- ક્રિકેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ, અશોક મલ્હોત્રાએ સ્વીકાર્યું હતું કે આઈપીએલની એક સીઝન ન થવાથી બહુ મોટો આર્થિક ફટકો પડશે.
અન્ય ફ્રેન્ચાઇઝીના અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે મહામારી માટે ખેલાડીઓના પગારનો વીમો લેવામાં આવતો નથી અને તે વીમાની શરતોમાં સામેલ નથી. દરેક ફ્રેન્ચાઇઝીના પગારની રકમ 75 થી 85 કરોડ છે. જો કોઈ આઈપીએલ જ ન રમાય તો અમે કઈ રીતે ચૂકવણી કરીશુ. જેથી હવે બીસીસીઆઈ પણ આઇપીએલની વૈકલ્પિક વિંડો તૈયાર કરવાનું વિચારી રહ્યું છે.