હવે રાજકોટ બાદ ભાવનગરમાં પણ જૂથવાદ, ધારાસભ્ય વિભાવરીબેન દવેને કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ન મળ્યું સ્થાન, વિખવાદની ચર્ચાએ પકડ્યુ જોર
રાજકોટ બાદ ભાવનગરમાં પણ ભાજપમાં જૂથવાદની ચર્ચા
વિભાવરીબેનને સ્ટેજ પર ન અપાયુ સ્થાન
જીતુવાઘાણીના ઇશારે સાઇડલાઇન કરાયાની ચર્ચા
વિધાનસભાની ચૂંટણીને લઇને દિવસ જાય તેમ રાજનીતિ તેજ બની રહી છે. ત્યારે હવે રાજકોટ બાદ ભાવનગરમાં પણ ભાજપમાં જૂથવાદની ચર્ચા સામે આવી છે. જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે વચ્ચે વિખવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ભાવનગરમાં આયોજિત એક શૈક્ષણિક કાર્યક્રમમાં રાજ્યપાલ પણ ઉપસ્થિતિ હતા. તે સમયે વિભાવરીબેન દવેને ધારાસભ્ય હોવા છતાં પણ સ્ટેજ પર બેસવાનું સ્થાન ન મળતા આંતરિક વિખવાદ હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે..
વિભાવરીબેન દવે સાઇડલાઇન કરાયા હોવાની ચર્ચા
વાત જાણે એમ છે કે ભાવનગરમાં યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો. જેમાં પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેને સ્ટેજ પર ન બેસાડતા વિખવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું. ભાવનગરના ધારાસભ્ય હોવા છતાં તેઓને રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્ટેજ પર સ્થાન ન આપવામાં આવ્યું, જીતુ વાઘાણીના ઇશારે વિભાવરીબેનને સાઇડલાઇન કરાયા હોવાની ચર્ચા થઇ રહી છે. વિભાવરીબેન દવે પૂર્વ મંત્રી હોવા છતાં સ્ટેજ પર સ્થાન ન અપાયુ. જો કે આવુ પહેલી વાર નથી બન્યુ. જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે વચ્ચે અનેક કાર્યક્રમમાં વિખવાદ જોવા મળ્યો છે.
રાજકોટમાં પણ જૂથવાદ આવ્યો હતો સામે
તો આ તરફ રાજકોટ ભાજપમાં પણ જૂથવાદ સપાટીએ આવ્યો હતો. રાજકોટમાં શહીદ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેની આમંત્રણ પત્રિકામાં આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. આ આમત્રંણ પત્રિકામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહીત સામાન્ય કાર્યકર્તાના નામ હતા. લોકસભાના સાંસદ કુંડારીયાનું પણ નામ હતું. પરંતુ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું નામ ન હોવાથી આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ હતું. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે પણ આ મામલે મનોમંથન કરવું જરૂરી થઇ પડે છે.