ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આ મહામારી હજુ પણ બદતર થાય તેવું નિષ્ણાતનું માનવું છે.
ભારતમાં પરિસ્થિતિ હજુ પણ ખરાબ થાય તેવું અનુમાન
જાણીતા ડૉક્ટર દેવી શેટ્ટીએ કર્યું અનુમાન
ભારતમાં ડૉક્ટર અને નર્સની ઊભી થશે અછત
લાખો ICU બેડ અને ડૉક્ટર-નર્સની જરૂર પડશે
કોરોના વાયરસના કહેરની વચ્ચે પ્રખ્યાત ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ ભારતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ હજુ પણ બદતર થવાનું અનુમાન લગાવ્યું છે. ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી અનુસાર આગામી સપ્તાહોમાં ભારતમાં પાંચ લાખ ICU બેડ, બે લાખ નર્સ અને દોઢ લાખ ડૉક્ટરોની જરૂર પડશે. દેવી શેટ્ટી અનુસાર વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં 75થી 90 હજાર ICU બેડ છે અને મહામારીની બીજી લહેરમાં અત્યારે સાડા ત્રણ લાખથી વધારે કેસ સએમ આવી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો પિક આવશે ત્યારે પ્રતિ દિવસ પાંચ લાખથી વધારે કેસ સામે આવશે.
ચારથી પાંચ મહિના આ લહેર રહ્યા બાદ ત્રીજી લહેર આવશે
ડૉ. શેટ્ટીએ કહ્યું કે પ્રત્યેક સંક્રમિતની સાથે પાંચથી દસ લોકો એવા છે જેમના ટેસ્ટ જ નથી થઈ રહ્યા અને તેનો અર્થ થાય છે કે ભારતમાં દરરોજ 15થી 20 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં પાંચ ટકા લોકોને ICUની જરૂર પડશે. ડૉ. શેટ્ટીએ કહ્યું કે આપણે ઓછામાં ઓછા દોઢ લાખ ડૉક્ટર અને બે લાખ નર્સની આગામી સમયમાં જરૂર પડશે જે એક વર્ષ સુધી કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી શકે. અત્યારે જે મહામારી છે તો ચારથી પાંચ મહિના સુધી રહેશે અને તે બાદ આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવાનું છે.
શું છે સમાધાન
ડૉ. શેટ્ટીએ આ સમસ્યાનું સમાધાન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં 2.20 લાખ નર્સિંગ સ્ટુડન્ટ્સ છે જે ત્રણ વર્ષ નર્સિંગ અને મિડવાઇફરી અથવા BSC કર્યું છે અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ભારત સરકારે આ લોકોણે એક વર્ષ માટે કોરોના વોર્ડમાં નિયુક્ત કરી દેવા માટે વિચાર કરવો જોઈએ અને તે બાદ તેમને ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ આપવું જોઈએ.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,86,452 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3498 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતાં હાહાકાર જેવી સ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,97,540 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.