ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 17 રનથી હરાવીને નિદહારસ T-20 ટ્રાઇ સીરિઝના ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. પહેલા બેટિંગ કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ 20 ઑવર્સમાં 3 વિકેટ ગુમાવીને 176 રન કર્યા અને બાંગ્લાદેશને 177 રનનો ટાર્ગેટ આપ્યો.
ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે 20 ઑવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન જ કરી શકી અને ટીમ ઇન્ડિયાએ આ મેચ 17 રનથી જીતીને ટ્રાઇ સીરિઝના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. હવે શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે 16 માર્ચની રમાનારી મેચમાં નક્કી થશે કે ટીમ ઇન્ડિયાની સામે ફાઇનલમાં કોણ રમશે. બાંગ્લાદેશની તરફથી મુશ્ફીકર રહીમે સૌથી વધારે 72 રન કર્યા. ટીમ ઇન્ડિયા માટે વૉશ્ગિંટન સુંદરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી જ્યારે રોહિત શર્માને 'મેન ઑફ ધ મેચ'નું ટાઇટલ મળ્યું.
અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ આપી હતી. ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન રોહિત શર્માએ શાનદાર 89 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સુરેશ રૈનાએ 47 અને શિખર ધવને 35 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ પોતાની 20 ઓવર્સમાં 3 વિકેટ ગુમાવી 176 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાની બે વિકેટો રુબેલ હોસેને ઝડપી હતી.
177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 61 રનમાં મહત્વની ચાર વિકેટો ગુમાવી દીધી હતી. પાંચમી વિકેટ માટે વિકેટકીપર બેટ્સમેન મુશ્ફીકર રહીમ(72) અને શબ્બીર રહેમાન(27) વચ્ચે ઉપયોગી ભાગીદારી થઈ પરંતુ વધતા જતા રનરેટને તેઓ કન્ટ્રોલ કરી શક્યા નહોતા અને 20 ઓવરના અંતે માત્ર 159 રન જ બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયા તરફથી વૉશિંગ્ટન સુંદરે પ્રભાવક બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 22 રન આપી 3 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ અને શાર્દૂલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.