ભારત માત્ર રક્ષા ઉપકરણોનું આયાત જ નહીં પરંતુ હવે તેનો નિકાસ પણ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં સ્વદેશી મિસાઇલને નિકાસ કરશે અને આ મામલે નિર્ણય લેવા અંગે રાહ જોવામાં આવી રહી છે. દક્ષિણ-પૂર્વ એશિયાઇ અને ખાડી દેશ ભારતના મુખ્ય ખરીદાર હશે. રક્ષા ઉપકરણને લઇને ડીલ આ વર્ષે શરૂ થવાની આશા છે.
સિંગાપોરમાં ત્રણ દિવસય આઇએમડીઇએક્સ એશિયા પ્રદર્શન-2019નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બ્રહ્મોસ એયરોસ્પેસના ચીફ જનરલ મેનેજર કમોડોરે એસકે ઐયરે જણાવ્યું કે કંપનીએ બધી તૈયારીઓ પુરી કરી દીધી છે, બસ સરકાર તરફથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
ભારતની આ મિસાઇલોને ખરીદવાની સૌથી વધુ ઇચ્છા દક્ષિણ પૂર્વી અને ખાડી દેશોએ દર્શાવી છે. ઐયરના કહેવા અનુસાર મિસાઇલના વેચાણ માટે પહેલો જથ્થો તૈયાર છે અને આ અંગે સરકાર તરફથી અંતિમ મંજૂરીની રાહ છે. આઇએમડીએક્સ એશિયા એક્ઝિબિશન 2019માં વિશ્વની કુલ 236 કંપનીઓ ભાગ લઇ રહી છે.
દુનિયાભરની અંદાજે 10,500 કંપનીઓના પ્રતિનિધિઓ અહીં આવ્યાં છે. 30 દેશોના 23 યુદ્ધ જહાજ પ્રદર્શન સામેલ કરવામાં આવ્યાં છે. ભારતના રક્ષા ઉત્પાદકો દક્ષિણ પૂર્વી એશિયા અને ખાડી દેશોમાં આપણા માટે સારુ માર્કેટ જોઇ રહ્યાં છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સાથે મળીને વિકસિત કરી છે. કેટલાક દક્ષિણ અમેરિકન દેશોએ પણ ભારતની મિસાઇલ ખરીદીમાં ઇચ્છા દર્શાવી છે.