ભારતે UNSC માં કહ્યું કે, રશિયા અને યુક્રેન બંને તરફથી વારંવાર વિનંતી કરવા છતાં પૂર્વ યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર નીકાળવા માટે સુરક્ષિત કોરિડોરની સ્થાપના કરવામાં નથી આવી અને તે તેના વિશે જ "વધારે ચિંતિત" છે.
UNSCમાં ભારતનું કડક વલણ
યુક્રેનમાંથી નાગરિકોને બહાર નીકાળવા અવરોધ વિનાના માર્ગની માંગ
વારંવાર કહેવા છતાં બંને દેશો કામ ન કરી શક્યા
ભારતના સ્થાનીય પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદને કહ્યું કે, "ભારત તમામ પ્રકારની દુશ્મનાવટનો અંત લાવવાનું આહ્વાન કરી રહ્યું છે." તેઓએ કહ્યું કે, ભારતે યુક્રેનમાંથી તમામ નિર્દોષ નાગરિકો તેમજ ભારતીય નાગરિકોને બહાર નીકાળવા માટે સલામત અને અવરોધ વિનાના માર્ગની માંગ કરી છે. તિરુમૂર્તિએ કહ્યું કે, "અમે ખૂબ જ ચિંતિત છીએ કે બંને પક્ષો તરફથી અમારી વિનંતી બાદ પણ સુમીમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં નથી આવ્યો." ભારત હજુ સુધી યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પોતાના 20,000થી પણ વધારે નાગરિકોની સુરક્ષિત વાપસી કરાવવામાં સફળ રહી છે. તિરુમૂર્તિએ જણાવ્યું કે, "અમે અન્ય દેશોના લોકોને પણ મદદ કરી હતી કે જેમણે આ મામલે અમારો સંપર્ક સાધ્યો હતો."
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત નિરર્થક રહી. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક વીડિયો પણ જાહેર કર્યો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે, 'તેઓ હાલ કીવમાં જ છે. હું કોઈથી ડરતો નથી. હું છુપાયો પણ નથી.' વધુમાં કહ્યું કે, 'અમે યુદ્ધ જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યાં છીએ.' યુક્રેનના રાષ્ટ્રપતિ વતી વીડિયો જાહેર કરીને આ દાવો પણ પાછો એવાં સમયે કરવામાં આવ્યો કે જ્યારે રશિયન મીડિયા દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઝેલેન્સ્કી તેમનો દેશ છોડીને ભાગી ગયા છે. અગાઉ પણ ઝેલેન્સકી વતી આ પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો.
યુદ્ધવિરામ બાદ પણ રશિયાના હુમલા ચાલુ
અગાઉ, પણ રશિયાએ નાગરિકોને બહાર નીકાળવા સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણાં વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી હતી. જો કે ખાલી કરાવવાના માર્ગો તરફ મોટા ભાગે રશિયા અને તેના સાથી દેશો બેલારુસ તરફ જઇ રહ્યાં છે. દરમ્યાન નાગરિકોને બહાર નીકાળવામાં આવી રહ્યાં છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કોરિડોરની નવી જાહેરાત બાદ પણ રશિયન દળોએ યુક્રેનના કેટલાંક શહેરો પર રોકેટ હુમલા અને કેટલાંક વિસ્તારોમાં ભીષણ લડાઈ શરૂ રાખી છે.
ઉત્તર, દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેનિયનો સુરક્ષિત રીતે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રાજધાની કીવ, દક્ષિણી બંદર શહેર મારીયુપોલ, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવ અને સુમીમાંથી નાગરિકોને બહાર નીકાળવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ સોમવારના રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ યોજાઈ હતી. વાટાઘાટો સમાપ્ત થયા બાદ યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીના સલાહકારે જણાવ્યું હતું કે, સલામત કોરિડોરની રચના અંગે સાધારણ પ્રગતિ કરવામાં આવી છે. જો કે, તેમણે મીટિંગની વધુ વિગતો શેર ન હોતી કરી.
શરણાર્થીઓની સંખ્યા 17 લાખને પાર
દરમિયાન, આ યુદ્ધમાં મૃત્યુઆંક સ્પષ્ટ નથી. ખારકિવ પ્રદેશની પોલીસે સોમવારનાં જણાવ્યું કે, ખાલી ત્યાં જ 209 લોકો મૃત્યુ પામ્યા હતાં, જેમાંથી 133 નાગરિક હતાં. યુએન શરણાર્થી એજન્સીનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે. શહેરોમાં ગોળીબારની ઝપેટમાં અન્ય ઘણાં લોકો ફસાયા છે. મારીયુપોલમાં ખોરાક, પાણી અને દવાઓની પણ અછત વર્તાઇ રહી છે. યુક્રેની અધિકારીઓએ કીવના ઉપનગરોમાં વિનાશકારી દ્રશ્ય વચ્ચે નાગરિકોને બહાર નીકાળવામાં નિષ્ફળતાની જાણ કરી છે. દરમિયાન, બંને પક્ષોના અધિકારીઓ સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત કરવાની પણ યોજના બનાવાઇ છે.