ચીનથી વધી રહેલા સરહદ વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) અને ચીનમાં વિદેશ મંત્રાલયના મહાનિદેશક વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ પર વાતચીત થઇ છે.
બોર્ડર ભારત-ચીન વચ્ચે વીડિયો કોન્ફરન્સથી વાતચીત
વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અને ચીનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક વચ્ચે ચર્ચા
સરહદ વિવાદ અને હાલની પરિસ્થિતિ અંગે થઇ ચર્ચા
માહિતી અનુસાર, સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) નવીન શ્રીવાસ્તવ અને ચીની વિદેશ મંત્રાલયના મહાનિદેશક વૂ જિયાંગહો વચ્ચે શુક્રવાર 5 જૂને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક થઇ હતી.
આ બેઠક દરમિયાન બન્ને દેશો વચ્ચે હાલની પરિસ્થિત પર પણ ચર્ચા થઇ. બન્ને પક્ષોએ વર્તમાન ઘટનાક્રમ સહિત દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી. આ સંદર્ભમાં તેમણે બન્ને દેશોના નેતાઓ દ્વારા કરવામાં આવેલી સહમતિને યાદ કરતા કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિપૂર્ણ, સ્થિર અને સંતુલિત સંબંધ હાલની વૈશ્વિક સ્થિતિમાં સ્થિરતા માટે એક સકારાત્મક કારક હશે.
વાતચીત દરમિયાન બન્ને પક્ષ આ વાત પર પણ સહમત થયા કે ઉચ્ચ નેતૃત્વો દ્વારા કરવામાં આવેલ માર્ગદર્શન અનુસાર, બન્ને પક્ષોને એક બીજાની સંવેદના, ચિંતાઓ અને આકાંક્ષાઓના સમ્માન કરવાના મહત્વને ધ્યાનમાં રાખતા શાંતિપૂર્ણ ચર્ચાના માધ્યમથી પોતાના મતભેદોને ઉકેલવા જોઈએ અને તેમણે વિવાદ ન વધવા દેવો જોઇએ.
બન્ને પક્ષોએ વાતચીત દરમિયાન કોવિડ-19 મહામારીના કારણે સર્જાયેલા પડકારો પર વિચારોની આપ-લે કરી અને સાથો સાથે કેટલાક બહુપક્ષીય મંચોમાં સહયોગ પર પણ વાત કરી.