'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં'નું વડાપ્રધાન મોદીનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં ધરખમ વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં બસ અને ટ્રેન કરતાં ફ્લાઈટ પેસેન્જર્સની સંખ્યા 11 ટકા જેટલી વધી છે. વર્ષ 2017-18માં રાજ્યમાં 115.30 લાખ લોકોએ હવાઈ પ્રવાસ કર્યો હતો. આ સંખ્યા 2018-19માં વધીને 142.58 લાખ થઈ છે. એટલે કે એક વર્ષમાં 27 લાખ પેસેન્જર્સ વધ્યાં જે 23.66 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા 12 મહિનામાં એક લાખ વિમાનોની અવરજવર થઇ, સંજોગોવશાત 5800થી વધુ ફ્લાઈટમાં ઘટાડો થયો છે અને ફ્લાઈટ પેસેન્જર્સની સંખ્યા 27 લાખ વધી છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, કંડલા, સુરત, ભૂજ, જામનગર, ભાવનગર જેવા એરપોર્ટ પર પેસેન્જર્સની સંખ્યા વધી રહી છે. ટ્રેન અને બસની સરખામણીએ ફ્લાઈટમાં ઘણો સમય બચે છે. ઘણા લોકો ડેઈલી અપડાઉન કરતા હોય છે અને અમદાવાદથી મુંબઈ અને દિલ્હી જઈને તરત જ પાછા ફરે છે. હવે એરલાઇન્સ દ્વારા વિવિધ ઓફર્સ પણ આપવામાં આવે છે. વિવિધ મોબાઇલ એપ્સ પર કેશબેકની સુવિધા અપાય છે. જેના કારણે પ્રવાસીઓ સુવિધા માટે ફ્લાઈટ્સ પસંદ કરે છે.