વડોદરા રેલવે સ્ટેશન પર સ્ટોલધારકો રેલવેમાં મુસાફરી કરનારા યાત્રઓ પાસેથી બેફામ ચાર્જ લેતા હોવાની ફરિયાદો ઉઠી છે. યાત્રીઓ પાસેથી ખાણી-પીણીની વસ્તુઓના વધુ ચાર્જ વસૂલ કરતા હોવાની અવાર નવાર ફરિયાદો રેલવે કોમર્સિયલ વિભાગને મળે છે. જેના કારણે કોમર્સિયલ વિભાગે નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે યાત્રીઓ અને સ્ટોલધારકો વચ્ચે થતી તકરારનો અંત આવી જશે. સરકારી તિજોરીને પણ નુકસાન નહીં થાય.
રેલવે વિભાગના આ છે નિર્ણય
વડોદરા રેલવે ડિવીઝન અંતર્ગત આવતા મુખ્ય 6 રેલવે સ્ટેશનોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત વડોદરા ભરૂચ ગોધરા નડીયાદ અંકલેશ્વર આણંદ રેલવે સ્ટેશનો પરના તમામ સ્ટોલ ધારકોને આદેશ આપવામાં આવ્યો છે. યાત્રાળુઓની વારંવાર ઉઠતી ફરિયાદના કારણે તંત્રએ તમામ સ્ટોલધારકોને ફરજિયાત બિલિંગ મશીન વસાવી લેવાનો આદેશ આપ્યો છે. જેને લઈને 100 સ્ટોલધારકોએ મશીન વસાવી લીધા છે. રેલવે સ્ટેશનો પર રોજ માઈકમાં એનાઉન્સમેન્ટ કરી યાત્રીઓને કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદી પર બિલ લેવાની અપીલ કરાઈ રહી છે. તેમજ જો કોઈ બીલ ન આપે તો રૂપિયા ન ચુકવવાનું પણ માઈકમાં જાહેરાત કરાઈ રહી છે. સ્ટોલધારક બીલ ન આપે તેની ફરિયાદ સ્ટેશન માસ્ટર કે કોર્મિયલ વિભાગમાં કરવાની સલાહ આપવામાં આવી છે. વારંવાર યાત્રાળુઓ પાસેથી વધારે પૈસા સ્ટોલધારકો લેતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રેલવે વિભાગનો આદેશ મળતા જ વડોદરા રેલવે સ્ટેશન સહિત 6 સ્ટેશનો પર સ્ટોલધારકો યાત્રીઓને કોઈ પણ ખાણી-પીણીની વસ્તુઓ સામે બિલ ફરજિયાત આપવાનો આદેશ કર્યો છે. જેથી યાત્રીઓ સ્ટોલધારકો પર વધુ રૂપિયા લેતા હોવાનો આરોપ ન લગાવી શકે. તો બીજી તરફ યાત્રીઓ રેલવે તંત્રના નિર્ણયના વખાણ કરી રહ્યા છે.
મહત્વની વાત છે કે રેલવે વિભાગના આ નિર્ણયથી યાત્રીઓ અને સ્ટોલધારકો વચ્ચે થતાં અવારનવારના ઝઘડાનો અંત આવશે. લોકોની વારંવારની ફરિયાદ ઉઠતી હોય છે કે રેલવેના પ્લેટફોર્મ પર વેપારીઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તે ફરિયાદનો અંત આવશે. ખાસ કરીને સ્ટોલધારકો ફરજિયાત બિલ આપશે તો સરકારને ટેક્સના નાણા મળશે જેનો તમામ લોકોને ફાયદો થશે.