ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાલિબાન પર એરસ્ટ્રાઈકને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
વિધાનસભાની ચૂંટણીમાં તાલિબાનની એન્ટ્રી
યોગીએ યુપીથી તાલિબાનને બતાવી લાલ આંખ
દેશના રાજકારણ માટે સૌથી મોટા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી
ઉત્તર પ્રદેશમાં થોડા જ મહિનાઓમા વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે જે માટે કોંગ્રેસ, ભાજપ અને સમાજવાદી પાર્ટી દ્વારા અત્યારથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ સામે તો યુપીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો જ પડકાર છે જ્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવને ફરીથી મુખ્યમંત્રી બનવું છે, એવામાં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોરદાર હુમલાઓ કરી રહ્યા છે. રવિવારે યોગીએ પીએમ મોદીના વખાણની સાથે તાલિબાનને ધમકી આપી હતી.
તાલિબાનને ખુલ્લી ચેતવણી
રવિવારે યોગી આદિત્યનાથે કહ્યું કે આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ જ શક્તિશાળી છે, કોઈ દેશની તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત નથી કરતું. આજે તાલિબાનથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પરેશાન છે પરંતુ તાલિબાનીઓ જાણે છે કે ભારત તરફ વધ્યા તો એરસ્ટ્રાઈક થવી નિશ્ચિત છે.
મહારાજા સુહેલદેવનાં સ્મારકનો મુદ્દો ઉછળ્યો
યોગીએ કહ્યું કે મહોમ્મદ ગોરી અને ગાઝીના વોટબૅંકના ભયથી કેટલાક લોકો હિન્દુ રક્ષક મહારાજા સુહેલદેવથી ડરી રહ્યા છે, તેમને ડર છે કે મહારાજાનું સ્મારક બનવાથી લોકો ગાઝીને ભૂલી જશે. આ જ ભયથી કેટલાક લોકો મહારાજા સુહેલદેવનાં સ્મારકનો વિરોધ કરી રહ્યા છે.
રામભક્તો પર ગોળીઓ ચલાવનારાઓને નિશાને લીધા
સમાજવાદી સરકારો પર સવાલ ઉઠાવતા મહંત યોગી આદિત્યનાથે કહ્યું કે શું અયોધ્યામાં રામભક્તોની નિર્મમ હત્યા કરનારાઓ દેશની માફી માંગી માંગશે? અદાલતે પણ આખરે તો અમને જ સાચા માન્યા અને આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. પહેલા સમાજવાદી, બસપા અને કોંગ્રેસને રામ ભક્તો પર ગોળીઓ ચલાવવા સિવાય બીજી નવરાશ ન હતી. હવે પીએમ મોદીએ અયોધ્યા આવીને ભવ્ય શ્રી રામ મંદિરનું શિલાન્યાસ કર્યું અને નિર્માણ થઈ રહ્યું છે.