પ્લાઝ્મા થેરેપી હાલમાં કોરોના વાયરસની સારવારમાં ખૂબ અસરકારક તરીકે વર્ણવવામાં આવી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોરોના વાયરસને અંકુશમાં રાખવા માટે અમેરિકાએ દિલ્હી મોડેલ પણ અમલમાં મૂક્યું છે. અમેરિકાએ કોવિડની સારવાર માટે પ્લાઝ્મા થેરેપી અપનાવી છે. જો કે હવે આ દાવાને ICMRની રિપોર્ટથી આંચકો લાગી શકે છે.
દિલ્લી સરકારના દાવાને ICMRના અહેવાલથી ઝટકો
ICMRની રિપોર્ટ કહે છે કે તેનાથી મૃત્યુનું જોખમ ઘટતું નથી
કેજરીવાલે કહ્યું હતું, હાલમાં અમેરિકા દિલ્લીને અનુસરી રહ્યું છે
CM અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ કહેતા હતા કે આજે અમેરિકા જે કરે છે, તે આવતીકાલે ભારત કરશે પરંતુ હવે અમેરિકા દિલ્હીને અનુસરી રહ્યું છે. જો કે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ભારતમાં દર્દીઓને આપવામાં આવતી પ્લાઝ્મા થેરેપીનો અભ્યાસ કર્યો છે, જેનાં પરિણામો નિરાશાજનક છે. અભ્યાસ અનુસાર, પ્લાઝ્મા ઉપચાર હળવાથી ગંભીર લક્ષણોવાળા કોરોના વાયરસ દર્દીઓમાંપ મૃત્યુનું જોખમ ઘટાડતું નથી.
પ્લેસિડ ટ્રાયલ આપવામાં આવ્યું છે નામ
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગંભીર કિસ્સાઓમાં પ્લાઝ્મા થેરાપી આપ્યા પછી પણ મૃત્યુનું જોખમ રહેલું છે. આ સિવાય આ ઉપચાર ચેપને વધતા રોકે પણ નથી. અભ્યાસ માટે પ્લાઝ્મા થેરેપીના આ અજમાયશને પ્લેસિડ ટ્રાયલ નામ આપવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો પ્રીપ્રિન્ટ સર્વર મેડ્રિક્સ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે.
22 એપ્રિલથી 14 જુલાઈ દરમિયાન 39 સ્થળોએ પ્લેસિડ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 1210 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં, દર્દીઓ જેની સારવાર માત્ર કોરોના વાયરસ માટે આપવામાં આવતી દવાઓથી કરવામાં આવતી હતી, તેની સાથે દવાઓની સાથે પ્લાઝ્મા થેરેપી આપવામાં આવતા દર્દીઓની તુલના કરવામાં આવી હતી.
દર્દીઓમાં હતી તાવ અને હાર્ટબીટ્સ વધી જવાની ફરિયાદો
મોટાભાગના પ્લાઝમા ડોનર અહીં પુરુષો (94.3%) હતા, જેમની સરેરાશ વય ૩૪ વર્ષની હતી, આ પ્લાઝમા એવા દાતા પાસેથી લેવામાં આવ્યા હતા જેમણે કોરોનાથી ઠીક થયાને 41 દિવસ થઈ ચૂક્યા હતાં. જે દર્દીઓએ પ્લાઝમા થેરેપી લીધી હતી, તેમને ઠંડી લાગવી, ચક્કર, બોડી પેઈન જેવી ફરિયાદો હતી. મોટાભાગના દર્દીઓમાં તાવ અને હાર્ટબીટ્સ વધી જવાની પ્રોબ્લેમ સામે આવી હતી.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રાયલમાં 79 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. પ્લાઝ્મા ઉપચારની અસર દર્દીની ઉંમર, રોગની તીવ્રતા અને પ્લાઝ્મા ડોનરની વય પર પણ મોટા પ્રમાણમાં આધાર રાખે છે. કોરોનાથી સાજા થતાં દર્દીઓને પ્લાઝ્મા દાન કરવા પ્રેરાય છે. મોટાભાગના દાતાઓ યંગ અને મામુલી લક્ષણો વાળા જ આવતા હોય છે.
પ્લાઝમા હળવા અને ગંભીર લક્ષણો વાલા કોવિડ દર્દીઓ માટે અસરકર્તા નથી
સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા યુવાનોના પ્લાઝ્મા હળવા અથવા ગંભીર લક્ષણોવાળા દર્દીઓને માટે અસરકર્તા નથી. પ્લાઝ્મા થેરેપીને ભારત સહિત ઘણા દેશોમાં અસરકારક સારવાર તરીકે જોવામાં આવી રહી છે. ભારતમાં ઇમરજન્સી ઉપયોગ હેઠળ પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી રહી છે.
આ સ્ટડી એટલે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આજ સુધી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોરોના દર્દીઓના જીવનને પ્લાઝ્મા થેરાપી દ્વારા બચાવી શકાય છે. પ્લાઝ્મા બેન્કની પહેલી રજૂઆત ભારતમાં દિલ્લીમાં કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ પ્લાઝ્મા બેંકની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો કે રસી ન આવે ત્યાં સુધી પ્લાઝમાને પ્રાયોગિક રીતે ચાલુ રાખવામાં આવે છે.