ભારતમાં સતત વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ટેસ્ટિંગ વધારવાને લઈને ICMR દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેર બની કાળ
ટેસ્ટિંગ વધારવા માટે ICMRનો મોટો નિર્ણય
અલગ અલગ પ્રકારની 6 ટેસ્ટિંગ કીટને મંજૂરી
6 પ્રકારની કીટને મળી મંજૂરી
ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈને ICMRએ હવે બીજી 6 પ્રકારની ટેસ્ટિંગ કીટને મંજૂરી આપી દીધી છે. અત્યારે દેશમાં RT-PCR અને રેપિડ એન્ટિજન ટેસ્ટના માધ્યમથી કોરોના વાયરસના ટેસ્ટ કરવામાંઆ આવે છે પરંતુ હવે 6 નવી કીટને મંજૂરી મળી જતાં કુલ 8 પ્રકારે કોરોના વાયરસના ટેસ્ટ થઈ શકશે. હવે આ કીટનો ઉપયોગ દેશના જુદા જુદા રાજ્યોમાં કરવામાં આવશે અને આ કીટ માટે વેલિડેશનની કોઈ જરૂર નથી.
કેમ લેવાયો નિર્ણય? શું લાભ થશે?
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે અને ગંભીર દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. જોકે આ વાયરસને રોકવા માટે વધારેમાં વધારે ટેસ્ટિંગની જરૂર છે ત્યારે ICMRના આ નિર્ણયથી કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ શકે છે. ICMRના આ પગલાંથી યુરોપ, સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલના કેટલીક વૈશ્વિક એજન્સીઓને લાભ મળશે. હવેથી WHOની ઈમરજન્સી યુઝની લિસ્ટમાં આ જેટલી એજન્સીઓ છે તેમણે વેલિડેશનની જરૂર નહીં રહે, તેમની ટેસ્ટિંગ કીટનો ઉપયોગ ભારતમાં કરવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં પહેલીવાર 3 હજારથી વધારે મોત થઈ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3293 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,61,162 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.