ICMR દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર એકવાર કોરોનાથી ઠીક થયેલ વ્યક્તિને 100 દિવસ બાદ ફરીથી સંક્રમણનો ખતરો રહે છે.
કોરોનાને મ્હાત આપનારના શરીરમાં બની જાય છે એન્ટીબોડી
આ એન્ટીબોડી આશરે 100 દિવસ સુધી જ રહે છે
100 દિવસ બાદ ફરીથી ચેપનો ખતરો : ICMR
ICMRએ આપી જાણકારી
જો તમને એવું લાગતું હોય કે કોરોના વાયરસ એકવાર થઇને મટી ગયો છે હવે તમે સુરક્ષિત છો તો તે ખોટું છે. ICMRએ જે જાણકારી આપી છે તે અનુસાર કોરોના વાયરસ સંક્રમણથી એન્ટીબોડી આશરે 100 દિવસ સુધી રહી છે. ICMRના બલરામ ભાર્ગવે આ જાણકારી આપી છે. આમ કોરોના પર નવો નિષ્કર્ષ એવો આવ્યો છે કે સાજા થયાના 100 દિવસ બાદ કોરોના થવાનો ખતરો ફરીથી પેદા થાય છે.
અમદાવાદમાં આવો કેસ સામે આવ્યો છે
ICMRએ કહ્યું કે અત્યાર સુધી ફરીથી સંક્રમણના ત્રણ કેસ સામે આવ્યા છે, જેમાં બે મુંબઈ અને એક કેસ અમદાવાદનો છે. ડૉ. ભાર્ગવે કહ્યું કે બીજી સંક્રમણ એ એક સમસ્યા હતી જે પહેલીવાર હોંગકોંગમાં જોવા મળી અને હવે ભારતમાં પણ આવા કેસ સામે આવી રહ્યા છે.
દુનિયાભરમાં આવા ઘણા કેસ સામે આવ્યા
તેમણે વધુમાં કહ્યું કે અમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી પણ કેટલાક આંકડાઓ મળ્યા છે જે દર્શાવે છે કે દુનિયામાં બે ડઝનથી વધારે આવા કેસ સામે આવ્યા છે. આ સિવાય હવે ICMR ડેટાબેસ જોઈ રહ્યો છે. અત્યાર સુધી નક્કી ન હતું કે કોઈ વ્યક્તિ 90 દિવસ, 100 દિવસ અથવા 110 દિવસ બાદ ફરીથી સંક્રમિત થઇ શકે છે.પણ હવે સરકારે નક્કી કરેલ સીમા આશરે 100 દિવસની છે. આ અનુસાર 100 દિવસ બાદ ફરીથી સંક્રમણનો ખતરો છે.
ડૉ. ભાર્ગવે એમ પણ કહ્યું કે અમારી શોધમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે પણ આ મામૂલી પરિવર્તન છે અને તેનાથી કોરોનાની વેક્સિનની પ્રભાવશીલતા પર કોઈ અસર થશે નહીં.