કર્ણાટકમાં સરકાર બનાવાને લઇ ચાલેલી લાંબી ઉથલપાથલ બાદ આજે જેડીએસ અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે. જનતા દળ સેકયુલર અને કોંગ્રેસ ગઠબંધન બાદ કેબિનેટની રચનાને લઇ કેટલાંક અગત્યના નિર્ણય લેવાયા હતા. આ માહિતી જેડીએસ તરફથી ભાવિ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ આપી હતી.
આ બધાની વચ્ચે કોંગ્રેસ-જેડીએસના કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ સોંપ્યું છે. ત્યારે કોંગ્રેસ ડેપ્યુટી સીએમનું પદ દલિત નેતાને આપ્યું છે. અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી.પરમેશ્વરને આપ્યું છે.
કર્ણાટકની ગઠબંધન સરકારમાં કોંગ્રેસની તરફથી કે.આર.રમેશને કર્ણાટક વિધાનસભાના સ્પીકર બનાવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ નેતાઓએ બેઠકમાં કેબિનેટની રચનાને લઇ ચર્ચા કરી હતી. 34 મંત્રીઓમાંથી 22 મંત્રી કોંગ્રેસના હશે જ્યારે 12 મંત્રીઓ સહિત મુખ્યમંત્રી જેડીએસની તરફથી હશે.
કર્ણાટકના ભાવી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મંગળવારે સ્વીકાર્યું હતું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવાનો તેમના માટે મોટો પડકાર રહેશે.
આજે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહેલા કુમારસ્વામીએ જણાવ્યું કે મારા જીવનનો આ મોટો પડકાર છે. હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારી પૂર્ણ કરીશ તેવી અપેક્ષા મને નથી જણાતી.
આદિ શંકરાચાર્ય દ્વારા પ્રથમ મઠ સ્થાપિત કરાયો તે સ્થળ શ્રૃંગેરી પહોંચીને કુમારસ્વામીએ જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે દેવી શારદામ્બે અને જગદગુરુની કૃપાથી બધુ સમુસુતરું ચાલશે.
કુમારસ્વામીએ વધુમાં જણાવ્યું કે માત્ર મને જ નહીં પરંતુ લોકોને પણ આશંકા છે કે આ સરકાર સુવ્યવસ્થિત રીતે કામ કરી શકશે કે નહીં પરંતુ મને વિશ્વાસ છે કે શારદામ્બે અને શ્રૃંગેરી જગદગુરુ (શંકરાચાર્ય)ની કૃપાથી બધુ જ સારું થશે. મંદિરની મુલાકાત દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શ્રૃંગેરી શારદા મંદિર અને દક્ષિણામન્યા પીઠમની પ્રદક્ષીણા કરી હતી.