રાજ્યમાં એક તરફ મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ વિવાદાસ્પદ નિવેદનોનો દોર ચાલી રહ્યો છે. રાવણ, સદ્દામ અને ઔકાત શબ્દો પછી ફરી એકવાર 'મોતના સોદાગર' શબ્દની એન્ટ્રી થઈ છે.
સોનિયા ગાંધી જ નહીં હું પણ કહું છું કે મોદી 'મોતનો સોદાગર' છે
શંકરસિંહ વાઘેલાએ બીજેપી પર કર્યા આકરા પ્રહાર
'નાની વાતોને મોટી કરવી એ જ ભાજપનો ધંધો..'
આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. રાજ્યમાં એક તરફ મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ વિવાદાસ્પદ નિવેદનોનો દોર ચાલી રહ્યો છે. રાવણ, સદ્દામ અને ઔકાત બાદ ફરી એકવાર ગુજરાતની ચૂંટણીમાં 'મોતના સોદાગર' શબ્દની એન્ટ્રી થઈ છે.
સોનિયા ગાંધી જ નહીં હું પણ કહું છું કે મોદી 'મોતનો સોદાગર' છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ 'મોતના સોદાગર' શબ્દનો ઉપયોગ કરીને રાજકીય તાપમાન વધુ વધાર્યું છે. જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદી માટે 'મોતના સોદાગર' શબ્દનો ઉપયોગ કરતાં પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે સોનિયા ગાંધી જ નહીં હું પણ કહું છું કે મોદી 'મોતનો સોદાગર' છે. આ વાક્યના પ્રયોગ સાથે જ વાઘેલાએ આ વખતે ભાજપની હારનો દાવો પણ કર્યો હતો.
બીજેપી પર કર્યા આકરા પ્રહાર
ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપનો એજન્ડા માત્ર નફરત અને બનાવટની વાતોનો છે. આ લોકો માત્ર વિકાસ, રોજગાર અને મોંઘવારીના મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરે છે. પણ હવે લોકો બીજેપી તરફ જોવા માંગતા નથી. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે અને એટલા માટે આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની સત્તામાં વાપસી પણ એકદમ પાકી છે.
'નાની વાતોને મોટી કરવી એ જ ભાજપનો ધંધો..'
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, '1લી ડિસેમ્બરે ગુજરાતની જનતાનું અડધું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું હતું અને 5મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે. ગુજરાતના લોકો વેપાર સમજનારા લોકો છે એટલે એ લોકો જાણે છે કે તેમનું ભવિષ્ય શું હોવું જોઈએ. ભાજપે 27 વર્ષથી માત્ર હિન્દુ-મુસ્લિમ રાજકારણ જ કર્યું છે. પીએમના આરોપો પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે નાની વાતોને મોટી કરવી એ જ ભાજપનો ધંધો છે.
સોનિયા ગાંધી 2012માં બોલ્યા હતા આ શબ્દો
ગુજરાત માટે 'મોતનો સોદેગાર' શબ્દ બહુ જૂનો છે. મોદી માટે 'મોતનો સોદેગાર' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 2012માં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યો હતો અને એ સમયે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા અને મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જણાવી દઈએ કે એ ચૂંટણીમાં મોદીએ સોનિયાના આ નિવેદનને પોતાનું હથિયાર બનાવ્યું હતું.
રાવણ, સદ્દામ અને ઔકાત જેવા શબ્દોનો પણ ઉપયોગ
ભાજપના દિગ્ગજ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરી હતી. સરમાએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનો ચહેરો 'સદ્દામ હુસૈન જેવો' ન હોવો જોઈએ અને આ પછી કોંગ્રેસના લોકોએ આ વાત પર ઉગ્ર વિરોધ કર્યો હતો. સદ્દામ પછી ગુજરાતની ચૂંટણીમાં રાવણની ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી. અમદાવાદના બહેરામપુરામાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરતાં કહ્યું હતું કે, "અમને તમારો (મોદીનો) ચહેરો કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય કે સાંસદની ચૂંટણી હોય દરેક જગ્યાએ દેખાય છે ... શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?" આ સિવાય કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ જ્યારે પીએમ મોદીને લઈને કેટલાક નિવેદનો આપ્યા ત્યારે 'ઔકાત' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પણ ભારે હોબાળો થયો હતો. આ સમયે પીએમ મોદીએ પોતે પણ ચૂંટણી રેલી દરમિયાન તેનો જવાબ આપતા કહ્યું હતું કે, "તેઓ કહે છે કે ઔકાત બતાવી દઇશું. હું કહું છું કે મારી કોઈ ઔકાત જ નથી. અમારી ઔકાત માત્ર સેવા કરવાની છે."