અમદાવાદ: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદનાં કેસમાં 27 ઓગસ્ટનાં રોજ હાજર રહેવાનો આદેશ કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ઈલેક્શન પિટિશન કેસમાં જુબાની માટે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દેની સુનાવણી મામલે હાઇકોર્ટે તેઓની સામે સમન્સ ઈશ્યુ કર્યું છે. મહત્વનું છે કે જીતને રદ કરતી આ અરજી કોંગ્રેસનાં અશ્વિન રાઠોડ દ્વારા કરાઈ હતી.
શું છે સમગ્ર ઘટના?
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણમંત્રી છે. તેઓ જ્યારે વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017નાં રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે તેમને વિજયી જાહેર કરાયા હતાં. જો કે બાદમાં આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ સર્જાયો હતો. જેથી કોંગ્રેસે તેઓની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી.
કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલાં બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમની તરફેણમાં મત હતાં તેને ધ્યાને લેવામાં આવ્યાં ન હતાં. ચૂંટણી પંચનાં નિયમ મુજબ EVMની મતગણતરી પહેલાં બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જો કે તેને બાજુએ મૂકી EVMની ગણતરી કરવામાં આવી હતી.
બીજી બાજુ ચૂંટણી પંચે પણ કબૂલ્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગડબડ થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાનાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. ત્યારે અંતે આ સમગ્ર મામલો અંતિમ તબક્કે પહોંચી ગયો છે. તમને જણાવી દઇએ કે જે સમયે આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા તે સમયનાં ડે. કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિને બદલી તેમને સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.