હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જેમા તેણે 23 માર્ચ સુધીમાં કેસો પરત ખેંચવા માટે સરકારને કહ્યું છે. સાથેજ તેણે સરકારને એવું પણ કહ્યું કે આને વિનંતી અને ચેતવણી બંને સમજી શકો છો.
હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું
પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા અલ્ટીમેટમ
23 માર્ચ સુધીમાં કેસો પરત ખેંચવા કરી માગ
1 માર્ચથી કેસ પાછા ખેંચવા અલ્ટીમેટમ અપાશે
પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે હાર્દિક પટેલ દ્વારા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આંદોલન સમયે જે પણ કેસ થયા હતા કે કેસોને પરત ખેંચવા માટે હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.જેના કારણે તે ફરીથી ચર્ચામાં આવ્યો છે.
23 માર્ચ સુધી કેસ પરત ખેંચવા અલ્ટીમેટમ
હાર્દિક પટેલે અલ્ટીમેટમ આપીને એવી માગ કરી છે કે 23 માર્ચ સુધી સરકાર યુવાનો પર લાગેલા કેસ પરત ખેંચે. ઉપરાંત તેણે એવું પણ કીધું છે કે સરકાર અમારા અલ્ટીમેટમને વિનંતી પણ સમજી શકે છે અને ચેતવણી પણ સમજી શકે છે. સાથેજ તેણે એવું પણ કીધું કે 1 માર્ચથી કેસ પાછા ખેંચવાને લઈને તેઓ રાજ્યભરમાં આવેદન પણ આપશે.
6 માર્ચે શહિદ પરિવારો સાથે સંવાદ
વધુમાં હાર્દિક પટેલે એવું પણ કહ્યું કે તે 6 માર્ચે શહીદ પરિવારોને સાથે રાખીને સંવાદ કરશે. સાથેજ તેઓ 10 માર્ચથી પાટીદાર ધારાસભ્ય અને સાંસદોને ગુલાબ આપીને સમર્થન કરશે તેવું પણ કીધું. ઉપરાંત હાર્દિક પટેલે એવું પણ કીધું કે જો ફુલ આપીને પણ સાંસદો સમર્થન નહી આપે તો તેનો વિરોધ પણ કરીશું.
કેસો પરત ખેંચવા મુખ્યમંત્રીને કરી માગ
હાર્દિક પટેલે અલ્ટીમેટમ આપીને કહ્યું કે આંદોલનને કારણે અનેક વર્ગોના યુવાઓને ફાયદો થયો છે. કેસ પરત નથી ખેચાઈ રહ્યા જેના કારણે યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવું તેમનું કહેવું છે. હાર્દિક પટેલે એવું પણ કહ્યું કે યુવાનો પર થયેલા કેસને પરત ખેંચવા માટે મુખ્યમંત્રીને પણ તેણે માગ કરી છે.
મારો કેસ છોડી અન્ય યુવાનોનો કેસ પરત ખેંચો: હાર્દિક પટેલ
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના કહેવા પ્રમાણે સાંસદો પણ કેસ પરત ખેંચવા માટે રજૂઆત કરી ચુક્યા છે. સાથેજ તેણે એવું પણ કહ્યું કે મારા કેસના કારણે સરકાર કેસ પરત ખેંચવા અટકાતી હોય તો મારી સરકારને અપીલ છે કે મારો કેસ છોડીને અન્ય યુવાનોના કેસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે.