કોરોના વાયરસે આખી દુનિયાને મોટા પાયે બદલી નાખી છે એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. આ લડાઈના ફ્રન્ટ લાઈન વોરિયર્સ એટલે કે મેડિકલ ક્ષેત્રના પ્રોફેશનલ્સ પોતાનો જીવ, પોતાનો પરિવાર બધાના ભોગે દર્દીઓની રક્ષા કરી રહ્યો છે અને રાષ્ટ્રસેવાના આ ભગીરથ કામમાં જોડાયો છે. એવા જ એક અમદાવાદના મહિલા ડોક્ટર જેઓ તેમની નાનકડી બાળકીને ઘરે રડતી મૂકીને રોજ ભારેખમ હ્રદયે હોસ્પિટલ જાય છે અને નિષ્ઠાથી દર્દીઓની સેવા કરે છે.
તેઓ કહે છે કે એક ગાયનેકોલોજિસ્ટ તરીકે તેમણે માતૃત્વને ખૂબ નજીકથી જોયું છે. તેમની હોસ્પિટલમાં બાળકનો જન્મ થતા તેની માતાની છલકાઈ જતી આંખો, પિતાનો રાજીપો વગેરેના તેઓ સાક્ષી રહ્યા છે. ઘણી માતાઓના બાળકોની ડીલીવરી કરાવ્યા બાદ તેઓ પોતે માતા બન્યા અને તેમના જીવનમાં અનાયા નામની બાળકીનો પ્રવેશ આવ્યો.
તેમના પતિ પાર્થ પોતે કોલકાતામાં કેન્સર સર્જન હોવાથી તેઓ થોડા થોડા સમયે ઉડતી મુલાકાત લઇને પરિવાર સાથે સમય ગુજારી લેતા. તેમણે પોતે તેમના પતિની ગેરહાજરીમાં અનાયાની માતા અને પિતા એમ બંનેની ભૂમિકા ભજવી. માતા પુત્રી એક બીજા સાથે રમતા, વહાલ કરતા, પાર્થને વીડિયો કોલ કરતા ખુશી ખુશી રહેતા હતા. એ ચાર મહિનામાં અનાયાને તેની માતાની એટલી તો માયા બંધાઈ ગઈ કે તેમની ગેરહાજરીમાં બાળકી રહી નહોતી શકતી. તેઓ પોતે પણ હોસ્પિટલમાં અચાનક જવાનું થાય તો અનાયાને સાથે લઇ જતા.
જો કે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો અને માર્ચની શરૂઆતથી કોવિડ 19ના કેસ હોસ્પિટલમાં વધવા માંડ્યા. હવે અનાયાને હોસ્પિટલમાં સાથે લઇ જવી શક્ય નહોતી. એવામાં અનાયા જે તેની માતા વગર એક ક્ષણ પણ રહેતી નહોતી તે હવે કલાકો સુધી એકલી પડી ગઈ. ડોક્ટર કહે છે કે તેમના માતા પિતા આવીને અનાયાની સંભાળ લેવા માંડ્યા.
એક માતા તરીકે તેઓ જણાવે છે કે કેટલીક ક્ષણો ખૂબ પીડાદાયક છે. જયારે તેઓ તેમની પુત્રીને દરરોજ ધાવણ આપતા હતા, તેને બાથમાં ભરી લેતા એ ક્ષણો હવે અદ્રશ્ય થઇ ગઈ છે અને હવે જયારે તેમણે ડ્યુટી ઉપર નીકળવાનું હોય છે ત્યારે અનાયા રડવા લાગે છે. તેઓ જણાવે છે કે ક્યારેક આ પરિસ્થિતિમાં તેઓ પોતે તેમના પતિ સાથે વાત કરતા કરતા રડી પડે છે પરંતુ પાર્થ તેમને કહે છે કે તેમની પુત્રી એક ફાઈટર છે અને જયારે તે મોટી થશે ત્યારે તેને ગર્વ થશે કે તેના માતા પિતા આ મહામારીમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ હતા અને તેમણે માતાપિતાની ભૂમિકા કરતા પોતાની ફરજને પહેલી પ્રાથમિકતા આપી.
તેઓ ફક્ત એમ ઈચ્છે કે કે તેમની નાનકડી અનાયા એક દિવસ એવું સમજે કે તેની માતાએ માતૃત્વ કરતા માતૃભૂમિને પહેલી પસંદગી આપી હતી.