ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના રાજીનામાની ગૂંજ જોવા મળી હતી. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં હોબાળો કરવામાં આવ્યો હતો. વિધાનસભા ગૃહમાં હોબાળા વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષ બંને આમને - સામને જોવા મળ્યાં છે. જો કે રાજ્યના ડે. સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર ટકોર કરતાં કહ્યું કે મને પહેલા કહેતા હતા કે 15 ધારાસભ્ય લઇને આવો.
ડે. સીએમ નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો
પહેલા મને કહેતા હતા 15 સભ્ય લઈને આવો
હવે તમારા પગ નીચે રેલો આવ્યો છે
આજરોજ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાની ગૂંજ વિધાનસભામાં જોવા મળી છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીના ઘરે 65 કરોડમાં સોદો થયો હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો હતો. જો કે તેને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને લઇને નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીની લડાઇમાં રાજીનામાં પડ્યાં છે.
જો કે એક સમયે કોંગ્રેસ તરફથી ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે તમે ભાજપના 15 ધારાસભ્ય લઇને આવો તો મુખ્યમંત્રી બનાવી દઇશું. જો કે આજરોજ ડે. સીએમ નીતિન પટેલે ગૃહમાં આજે વળતો પ્રહાર કરતાં કહ્યું કે પહેલા મને કહેતા હતા કે 15 સભ્ય લઇને આવો, હવે તમારા પગ નીચે રેલો આવ્યો છે.
આ અગાઉ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને લઇને નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો પક્ષથી નારાજ છે, કોંગ્રેસની આંતરિક જૂથબંધી સામે આવી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવવા ઉત્સાહી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગેની જાણકારી વિધાનસભા અધ્યક્ષ વિધાનસભામાં માહીતી આપશે.
જો કે હજુ પણ વધારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડે તેવો ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો હતો. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્યોનો વિશ્વાસ સંપાદન ન કરી શકી, કોંગ્રેસમાં જૂથવાદ છે. જેને લઇને આજે પણ બીજા રાજીનામાં પડી શકે છે.