1 વર્ષ બાદ હતા ત્યાંના ત્યાં! ગુજરાત અને દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા જનતા કર્ફ્યુ, લોકડાઉન અને કર્ફ્યુ સુધીના નિર્ણયો લેવાયા હતા. ત્યારે હવે ચૂંટણી બાદ ફરી કોરોનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
ગુજરાતમાં કોરોનાનો ખૌફ વધ્યો
24 કલાકમાં 1415 નવા કેસ સાથે 948 દર્દીઓ થયાં સાજા
સુરત અને અમદાવાદમાં સ્થિતિ બેકાબૂ
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1415 નવા દર્દી જ્યારે 948 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 278 કેસ અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 252 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 127 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 115 કેસ અને ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર
રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે વધુ એક મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ફરી એકવાર નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડશે. ત્યારે ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉભા થય છે. હજુ એક મહિનાનો સમય થયો નથી ત્યારે આ ચૂંટણી પણ 6 મહાનગર પાલિકાની ચૂંટણી સાથે કેમ ન કરવામાં આવી તેવા સવાલો ઉભા થયા છે. એક તરફ રાજ્યના 4 મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ગાંધીનગરમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. ત્યારે આ મામલે સામાન્ય પ્રજા રોષ વ્યકત કરી રહી છે કે એક તરફ કામ ધંધા બંધ કરાવી રહ્યા છો અને બીજી તરફ જનમેદનીને ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપવાનુ કામ કરી રહ્યા છે. નેતાઓ ચૂંટણી કરે અને બાદમાં ભોગવવાનો વારો સામાન્ય પ્રજાને આવે છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે.
અમદાવાદમાં કાપડ બજારે સમય બદલ્યો
અમદાવાદમાં કોરોના કેસો વધતાં કાપડ બજારે તેનો સમય બદલાયો છે. સાંજે સાત વાગ્યા સુધી હોલસેલ દુકાનો ખુલ્લી રહેશે. કર્ફ્યુનો સમય 9 વાગ્યાનો થતાં મસ્કતી મહાજને તેનો સમય બદલ્યો છે. બજારમાં કોવિડ ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.