કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ રાજ્ય સરકાર પોતાના રાજ્યોના શ્રમિકોને પરત લાવવામાં લાગી છે. ત્યારે ગુજરાતમાં એક તરફ ફસાયેલા મજૂરોને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ સંકલનના અભાવે સુરત, વડોદરા, પાવાગઢ, બનાસકાંઠા, અરવલ્લી-ખેડા સહિત બોર્ડર વિસ્તારમાં શ્રમિકો અટવાયા છે. આવામાં સરકારની અપૂરતી તૈયારી સ્પષ્ટ દેખાઈ રહી છે જેના પગલે ફરી એક વખત શ્રમિકોને રસ્તે રઝળવાનો વારો આવ્યો હતો.
હજારો શ્રમિકોની ગુજરાતમાં હાલત કફોડી
કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આજે ગુજરાતમાં વતન જવા નીકળેલાં શ્રમિકો અને પરપ્રાંતિયોની હાલત કફોડી જોવા મળી હતી. રાજ્યો વચ્ચે સંકલનના અભાવે તેમ જ ગાઈડલાઈન વિશેની કોઈ યોગ્ય જાણકારીને ન હોવાને કારણે શ્રમિકોને ફરી એક વખત રસ્તે રઝળવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં વડોદરા, સુરત, પાવગાઢ, બનાસકાંઠા, અમદાવાદ જેવા વિસ્તારોમાં હજારો શ્રમિકો અટવાયા હતાં અને ન ઘરના ન ઘાટના જેવી હાલત સર્જાઈ હતી. આ હજારો પરપ્રાંતિયોને પોલીસ દ્વારા રસ્તામાં રોકવામાં આવ્યાં હતાં જેમાં કેટલાંક પાસે તો મંજૂરી હોવા છતાં પણ રઝળવાનો વારો આવતો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
અરવલ્લી-ખેડા બોર્ડર પર હજારો શ્રમિકો અટવાયા
આ બાજુ અરવલ્લી-ખેડા બોર્ડર પર ઉત્તરપ્રદેશ જતાં હજારો શ્રમિકો ફસાયા છે. અહી ટ્રકો ભરીને શ્રમિકો યુપી અને મધ્યપ્રદેશ જવા નીકળ્યાં હતાં ત્યારે અહીં હાઈ-વે પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યાં હતાં. આવામાં શ્રમિકોને બેવડો માર પડ્યો હતો. એક બાજુ અહીં લૉકડાઉનને કારણે કમાવા કંઈ નથી ત્યારે બીજી બાજુ પોતાના વતન જવા પણ નથી મળી રહ્યું. ખાસ કરીને રાજ્યોની વચ્ચે સંકલનના અભાવે શ્રમિકોની હાલત બદથી બદ્તર થઈ હતી. રાજસ્થાનના લોકોને પ્રવેશ મળી ચૂક્યો હતો પરંતુ અન્ય રાજ્યોના લોકોને પસાર થવા દેવાયા ન હતાં.
પહેલાં વ્યવસ્થા કરો પછી જાહેરાત કરો
આ અંધાધૂંધી જોઈને સરકારની કામગીરી પર સવાલ ઊભાં થાય છે કે આખરે પરવાનગી અપાઈ ગયા પછી આ રીતે અરાજકતા કેવી રીતે ફેલાઈ શકે? એક બાજુ ગુજરાત સરકારે જાહેરાત કરી કે પરપ્રાંતિયોને મોકલવા તથા અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટેની વ્યવસ્થા યોગ્ય રીતે કરી દેવાઈ છે. પરંતુ આ દ્રશ્યોએ આ તમામ તૈયારીઓની પોલ ખોલી દીધી છે. શું જાહેરાત કરતા પહેલાં યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ જાય તેની તકેદારી સરકારે લેવી ન જોઈએ.
અગાઉ પણ એવું બન્યું હતું કે જ્યારે અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 16 અધિકારીઓને જવાબદારી સોંપવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે IPS અધિકારીને કોઈ જાણ જ કરાઈ નહોતી કે તેમને આવી કોઈ જવાબદારી સોંપાઈ છે. આવામાં ચોક્કસપણે એ સવાલ ઊભો થાય છે કે સરકાર કોઈ પણ જાતના સંકલન કે આયોજન વિના અણઘડ જાહેરાતો કરી દે છે પરંતુ તેના અમલીવારમાં ઊંડી ઉતરતી નથી. પરિણામે આવા અંધાધૂંધીના દ્રશ્યો સર્જાય છે તેમાં કોઈ બેમત નથી.
જવું હોય તો જાઓ પણ ટિકિટના પૈસા આપવા પડશે
બીજી બાજુ આટલું ઓછું હોય તેમ સરકારે આજે મોટા ઉપાડે પરપ્રાંતિયોને મોકલવાની વ્યવસ્થાની જાહેરાત કરી પરંતુ સાથે જવું હોય તો તેની માટે સ્વખર્ચે ટિકિટ ખરીદવાનું પણ કહ્યું. સુરત અને અમદાવાદ શહેરમાં ગુજરાત બહારના પરપ્રાંતિય લોકો ગુજરાત આવીને નોકરી ધંધા કરે છે. આવા લોકોને તેમના રાજ્યોમાં જવા માંગતા હોય તેવા લોકો માટે ગુજરાત સરકારે 16 અધિકારીઓની નિમણુંક કરી છે. પોતે પોતાના ખર્ચ પરત જવા માંગતા હોય તેમને જવા દેવામાં આવશે. ટ્રેન અને બસની ટીકીટ કરીને જઈ શકશે. આવામાં સવાલ એ થાય છે કે જેમની પાસે આટલા દિવસથી લૉકડાઉનને કારણે કમાવવાનો કોઈ સ્ત્રોત જ નહોતો રહ્યો તો તેમની પાસે પૈસા પણ ક્યાંથી હોય કે તેઓ ટિકિટ ખરીદીને જઈ શકે. ત્યારે સરકારે સંવેદનશીલતા દાખવીને ટિકિટનો ખર્ચ તો સરકાર માથે લઈ શકી હોત ને.
શું રાજ્યો-રાજ્યો વચ્ચે સંકલન નથી, ચૅકપોસ્ટ કેમ ઊભી ન કરાઈ?
બીજા રાજ્યોના શ્રમિકો માટે સરકારી વ્યવસ્થાઓ કેમ ખોડંગાઈ ગઈ. શું રાજ્યોની વચ્ચે આંતરિક સંકલન જેવી કોઈ વ્યવસ્થા જ નથી. કેન્દ્ર સરકારની પરવાનગી છતાં વતન જવા માટે શ્રમિકોને ફાંફા પડી રહ્યા છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર હજારોની ભીડ જોવા મળી છે. તો ખાનગી વાહનોમાં જતા કેટલાક શ્રમિકો પણ અધવચ્ચે અટવાયા છે. આ શ્રમિકો સુરત, વડોદરા, પાવાગઢ, બનાસકાંઠામાં અટવાયા છે. કેન્દ્ર સરકારના નિર્ણય પછી સરકારોએ ચેકપોસ્ટો પર વ્યવસ્થા કેમ ન કરી?
મંજૂરી છતાં વડોદરામાં પણ શ્રમિકો ફસાયા
ગુજરાતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા મામલે સંકલનનો અભાવ સામે આવ્યો છે. બીજા રાજ્યમાં શ્રમિકોને પ્રવેશ ન અપાતા બસો કેટલીક પરત આવી રહી છે. જેને લઇને મોટાભાગના જિલ્લાઓમાં શ્રમિકો અટવાયા છે. કેન્દ્ર સરકારની પરવાનગી છતાં વતન જવા માટે શ્રમિકોને ફાંફા પડી રહ્યા છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર હજારોની ભીડ જોવા મળી છે. તો ખાનગી વાહનોમાં જતા કેટલાક શ્રમિકો પણ અધવચ્ચે અટવાયા છે. આ શ્રમિકો સુરત, વડોદરા, પાવાગઢ, બનાસકાંઠામાં અટવાયા છે.
ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમા પ્રવેશ ન આપ્યા
છોટા ઉદેપુરમા પરપ્રાંતિય શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં પ્રવેશ ન આપતા છોટેઉદેપુર જિલ્લા પોલીસે બસ ફરીથી સુરત મોકલી છે. 15 બસ અને ટ્રકને જીલ્લા પોલીસે એન્ટ્રી ન આપતા પરત ફર્યા છે. ધામસિયા ચેકપોસ્ટ પર જીલ્લા પોલોસ વડા સહિત ઘટના સ્થળે પહોંચ્યા છે.
સુરતના શ્રમિકોને મધ્યપ્રદેશમાં પ્રવેશ ન અપાતા પરત ફરવાનો વારો આવ્યો
સુરતના સરદાર માર્કેટથી 11 ટેમ્પામાં નીકળેલા 800 જેટલા શ્રમિકોને મધ્યપ્રદેશના રંગપુર ખાતે એન્ટ્રી ન આપતા આખરે પરત ફરવાનો વારો આવ્યો હતો. જેને લઇ વડોદરાના ડભોઇની વેગા ચોકડી ખાતે તમામ શ્રમિકોને અટકાવી પોલીસ બંદોબસ્ત સાથે કરજણ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. આ શ્રમિકોએ ખાધા-પીધા વગર ના અટવાઈ ગયા હતા. છેલ્લા 30 દિવસથી સુરત શહેરમાં અટવાયેલા શ્રમિકો પાસે નથી જમવાના પૈસા કે નથી પોતાના ઘરે જવા પૈસા ત્યારે હવે આ તમામ શ્રમિકોને ફરી પાછા સુરતના સરદાર માર્કેટ પાસે પાછા મુકશે ત્યારે તેઓની સ્થિતિ સર્જાશે તેના ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.
સુરત કલેકટર કચેરીના અણઘણ વહીવટનો ખુલાસો
સુરત કલેકટરે પરવાનગી ન આપવાની જાહેરાત કરી છે. કલેકટરે કહ્યું કે ચેક પોસ્ટથી આપતી પરવાનગી હવે મળશે નહીં. ચેકપોસ્ટ પર ફક્ત સ્ક્રિનિંગ કરવાની વાત કરી છે. પહેલા ચેકપોસ્ટથી પરવાનગી મળતી હતી. ઉત્તરપ્રદેશ માટે પણ પરવાનગી અપાતી હતી. સરકાર દ્વારા ફક્ત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિસાની મંજૂરી અપાઈ હતી. સરકાર વિરૂદ્ધ જઇ ઉત્તરપ્રદેશની પરવાનગી અપાઇ હતી. પરવાનગી આપનાર અધિકારી સામે કાર્યવાહી થશે ? તંત્રના અણઘડ વહીવટથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે ઓનલાઇન પરવાનગી જ મળશે. ઓનલાઇન મળેળી મંજૂરી પ્રિન્ટ જ વેલીડ ગણાશે.
મહત્વનું છે કે, સુરત અને અમદાવાદથી આજે એક-એક ટ્રેન ઉપડી છે. સુરતથી ઓડિસા અને અમદાવાદથી આગ્રા જવા માટે ટ્રેન રવાના થઇ છે. તો બસ અને ખાનગી વાહનમાં જતા શ્રમિકો અટવાતા કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે.