લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ હતું. તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશેઃ CM રૂપાણી
આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે ભારતની આઝાદી પછી અખંડ રાષ્ટ્રના સંકલ્પ સાથે નાના-મોટા 562 રાજા-રજવાડાઓ સાથે વિવિધ સ્તરે પરામર્શ-ચર્ચાઓ-બેઠકો કરીને ભારતમાં તેના વિલીનીકરણની સફળતા મેળવી તેની ફલશ્રુતિએ આજે ભારત સમગ્ર વિશ્વમાં એક અને અખંડ રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામ્યુ છે. ત્યારે હવે કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.
મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યુ હતું કે, આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અત્યાધુનિક ૩-ડી મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે.