મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી વરસાદથી માનવ મૃત્યુ તેમજ પશુધન માટે સહાયની જાહેરાત કરી છે.
ગુજરાતમાં વરસાદે મચાવી ભયંકર તબાહી
ગુજરાત સરકારે મૃતકો માટે સહાયની કરી જાહેરાત
વરસાદી આફતમાં માનવ મૃત્યુ થયા હશે તો 4 લાખની મળશે સહાય
જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાયને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.
કોને કેટલી સહાય?
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે 30 હજારની સહાયની સહાય તો ઘેટાં બકરા માટે 3000ની સહાય આપવામાં આવી છે. તમામ કલેકટરને તત્કાલિક સહાય ચૂકવાના આદેશ કરવામાં આવ્યા છે. સવારે જૂનાગઢ 88 મિમી, ગીર સોમનાથ 58, ડાંગ 52 મિમી વરસાદ પડ્યો છે. ડાંગના વાસદ અને સુમિરમાં વરસાદ વધ્યો હોવાની માહિતી પણ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
માનવ મૃત્યુ- 4 લાખ
દુધાળા પશુ માટે 30,000
ઘેટાં બકરા માટે 3000
બળદ,ઊંટ, ઘોડાવગેરે માટે રૂ.25000
ગધેડો, પોની વગેરે માટે રૂ. 16000
સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. 95,100
પર્વતીય વિસ્તાર માટે મકાનદીઠ રૂ. ૧,૦૧,૯૦૦,
ઝૂંપડા નાશ થયા હોય તો રૂ. ૪,૧૦૦
અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે નિયમ મુજબ સહાય જાહેર કરાઈ છે, જેમાં ગાય, ભેંસ, ઊંટ જેવાં દૂધાળા પશુ માટે રૂ.30,000 ઘેટા-બકરાં વગેરે માટે રૂ. ૩,૦૦૦ તેમજ બિન દૂધાળાપશુ જેવાં કે, બળદ,ઊંટ, ઘોડાવગેરે માટે રૂ. ૨૫,૦૦૦, રેલ્લો, ગાયનીવાછરડી, ગધેડો, પોની વગેરે માટે રૂ. ૧૬,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મરઘા પશુ સહાય માટે પ્રતિ પક્ષી રૂ. ૫૦ લેખે પ્રતિ કુટુંબની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ની સહાય અપાશે. રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. ૯૫,૧૦૦ અને પર્વતીય વિસ્તાર માટે રૂ. ૧,૦૧,૯૦૦, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. ૪,૧૦૦ની સહાય આપવામાં આવશે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય તેમજ કેશડોલ અપાશે. રાજ્યમાં વરસાદવાળા મોટાભાગના વિસ્તારોમાં એસ.ટી. બસના રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે.રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાંનાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ સરકાર દ્વારા અપીલ કરવામા આવી છે.
પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ખેડામાં 5 લોકોના વરસાદને લીધે મૃત્યુ થતાં તેમણે 20 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. આ સાથે જ સરકારી આંકડા મુજબ 7 જુલાઇથી અત્યાર સુધી 31 લોકોના વરસાદને લીધે મોત થયા છે. જેમણે તાત્કાલિકના ધોરણે સહાય આપવા આદેશ કરવામાં આવ્યા છે.
વરસાદને લીધે 83 લોકોના મોત, ધારાધોરણ મુજબ 31 મૃતકોના પરિવારને સહાય અપાશે
આમ જોવા જઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. પણ સરકારના ધારાધોરણ મુજબ 31 લોકોને સહાય ચૂકવાશે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.
31,035 લોકોને સલામત સ્થળે ખસેડાયા
રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.