કૃષિ વિભાગ દ્વારા ખેડૂતલક્ષી બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ અંગે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ટ્રેક્ટરની સબસિડીમાં વધારો કરાયો
સૌરાષ્ટ્રના સનેડામાં પણ સબસિડી
સનેડાના RTO રજિસ્ટ્રેશન માટે જોગવાઇ કરાશે
VTV સાથેની વાતચીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ટ્રેક્ટરની સબસિડીમાં વધારો કરાયો છે. જેમાં અત્યાર સુધી 30થી 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરને 45 હજારના બદલે 60 હજારની સબસિડી મળશે, જ્યારે 40 હોર્સ પાવર ઉપરના ટ્રેક્ટરને 60 હજારના બદલે 75 હજારની સબસિડી મળશે.
રાઘવજી પટેલે જણાવ્યું કે, આ સબસિડી માટે કૃષિ વિભાગ દ્વારા નાણા વિભાગને રિપોર્ટ ફાઇલ મોકલવામાં આવ્યો છે, નાણા વિભાગની મંજૂરી મળતાની સાથે જ આ યોજના તાત્કાલિક અમલી બનશે. ખેડૂતને સહાય આપવાનું સિદ્ધાંતિક રીતે નક્કી કર્યું છે.
સૌરાષ્ટ્રના સનેડાને માન્યતા અને પણ સબસિડી મળશે
તો સૌરાષ્ટ્રના હોટ ફેવરિટ સનેડા વાહનને લઇને પણ કૃષિમંત્રીએ ખુશખબર આપ્યા છે. રાઘવજી પટેલે કહ્યું કે, સનેડો વાહન સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુબ જ લોકપ્રિય છે, તે વાહનને માન્યતા મળે અને ખેડૂતો ખરીદે અને ઉપયોગ કરે તે માટે સરકાર સહાય આપવાનું વિચારી રહી છે. જેની અમે નવી દરખાસ્ત કરીશું. આ સાધનને માન્યતા મળશે એટલે સૌરાષ્ટ્રના સનેડા (મિની ટ્રેક્ટર)માં પણ સબસિડી મળશે. સનેડાની ખરીદી પર વધુમાં વધુ રૂ.25 હજારની સબસિડી અપાશે. સનેડાનું RTOમાં રજિસ્ટ્રેશન થાય તે માટે કૃષિ વિભાગ જોગવાઇ કરશે.
રાજ્યમાં યુરિયા ખાતરના સ્ટોક મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
કૃષિમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. રવીપાક માટે 2 લાખ 75 હજાર મેટ્રીક ટન ખાતરની માગણી કરી હતી. કેન્દ્રએ ગુજરાતને 3 લાખ મેટ્રીક ટન યુરિયા ખાતરનો જથ્થો પુરો પાડ્યો છે. ગુજરાતમાં હાલ 39 હજાર 478 મેટ્રીક ટન યુરિયા ઉપલબ્ધ છે. યુરિયા ખાતરની તંગીની વાત પાયા વિહોણી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાતર બાબતે નજર રાખે છે.
મહત્વપૂર્ણ છે કે ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ 50 ટકાની સબસિડી આપવાની યોજના શરૂ કરાઈ છે. જેનો લાભ pmkisan.gov.in અને pmkisan.nic.in હેઠળ અરજી કરીને મેળવી શકાશે.