ગુજરાત કોંગ્રેસની સ્થિતિ બારે સાંધે ને તેર તૂટે તેવી જોવા મળી રહી છે. કોઇ નેતા પક્ષમાંથી રાજીનામું આપે છે, તો કોઇ પોતાના પદેથી. ત્યારે આજે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે.
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઇન્ચાર્જ પદેથી વિજય દવેનું રાજીનામુ
જગદીશ ઠાકોર જવાબ આપવાનું ટાળ્યું
કાર્યાલયની કામગીરી મુદ્દે પુત્ર નૈનેશ ઠાકોર પર દખલગીરીનો આક્ષેપ
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં પક્ષપલટાના પ્રમાણમાં વધારો થયો છે. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ આજે ભાજપમાં જોડાયા છે. તો આવતીકાલે જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવાના છે. આ વચ્ચે કોંગ્રેસમાં વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે જગદીશ ઠાકોરની નિયૂક્તિ કરવામાં આવી હતી. ત્યારે હવે જગદીશ ઠાકોરના પુત્ર પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ નૈનેશ ઠાકોર સામે નારાજગીના સૂર ઉઠ્યા છે. તો નૈનેશ ઠાકોરની દખલગીરીને લઇને ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે.
પ્રદેશ કાર્યાલય ઇન્ચાર્જ વિજય દવેનું પોતાના પદેથી રાજીનામું
જગદીશ ઠાકોરના પુત્રની દખલગીરી પર નારાજગી વ્યક્ત કરાઈ છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઇન્ચાર્જ વિજય દવે પોતાની જવાબદારીમાંથી મુક્ત થયા છે. તેમણે જગદીશ ઠાકોરના પુત્ર નૈનેશ ઠાકોર પર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, નૈનેશ ઠાકોરની જોહુકમી હું સહન ન કરી શકું. રાહુલ ગાંધી અને કે.સી.વેણુગોપાલને સમગ્ર મુદ્દે ધ્યાન આપવા અપીલ કરી. વિજય દવે 2017માં એલિસબ્રિજ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તો જગદીશ ઠાકોરે આ મામલે જવાબ આપવાનું ટાળ્યું છે.
આજે કમલમ્ ખાતે કેટલાક કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા
આજે મહીસાગર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. પૂર્વ MLA હીરા પટેલ, કોંગેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઇ, કોંગ્રેસ આગેવાન રાકેશ ગોસ્વામી, અમિતભાઈ ધોબી, જે.એન.પટેલ, મોતીભાઈ પટેલ, અરવિંદ પટેલ સહિત બિગ હ્યુમન ગ્રુપના કાર્યકરો અને સેક્યુલર કિસાન સેનાના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ આગેવાનોને ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે પક્ષપલટો કરનાર તમામ આગેવાનોએ પક્ષમાં અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.