રાજ્યમાં પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસની કારમી હાર થઇ છે. પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકોનો આંકડો 111 પર પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો સાથે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામુ આપવાની દર્શાવી તૈયારી છે. ચાવડાએ કહ્યું કે, હાઈકમાન્ડ કહેશે તો રાજીનામુ આપીશ.
ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામુ આપવાની દર્શાવી તૈયારી
હાઈકમાન્ડ કહેશે તો રાજીનામુ આપીશ: ચાવડા
પેટાચૂંટણીમાં 8 બેઠકો પર કોંગ્રેસની હાર થતાં અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે. અમિત ચાવડા પ્રમુખ પદેથી રાજીનામુ આપવા તૈયાર થયા છે. અમિત ચાવડાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. પેટાચૂંટણીના પરિણામો બાદ અમિત ચાવડાએ દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી છે. આ ચર્ચા બાદ ચાવડાએ કહ્યું કે, હાઈકમાન્ડ કહેશે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપીશ. મહત્વનું છે કે 8 બેઠકો પર કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેને લઇને પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે.
જનતાએ આપેલા જનાદેશને સ્વીકારીએ છીએઃ ચાવડા
પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, રાજ્યસભાની એક બેઠક માટે ભાજપે ચૂંટણી થોપી છે. ગુજરાતના લોકો બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. 8 વિધાનસભા વિસ્તારના લોકો સાથે દ્રોહ થયો છે. લોકોનો રોષ મતમાં કેમ ન પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું. જનતાએ આપેલા જનાદેશને સ્વીકારીએ છીએ. વિજેતા ધારાસભ્યોને અભિનંદન પાઠવીએ છીએ. આગામી સમયની રણનીતિ પર વિચાર કરીશું. હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશુ.
ચાવડાએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નહીં, પક્ષપલટો કરનારને લોકો જવાબ આપશે તેવી આશા હતી. લોકશાહી અને સંવિધાન બચાવવા લડત લડતા રહીશું. કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ કરૂ છું. મતદારોએ જે કઈ મદદ કરી તે માટે આભાર માનુ છું. કોંગ્રેસ સત્તા માટે ક્યારેય કામ નથી કરતી. કોંગ્રેસ સિદ્ધાંતો માટે જ કામ કરે છે.
કોંગ્રેસના તમામ ઉમેદવારો સારી પ્રતિભા ધરાવતા હતાઃ ચાવડા
ચાવડાએ કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ ઉમેદવારો સારી પ્રતિભા ધરાવતા હતા. ભાજપના ઉમેદવારો પક્ષપલટો કરનારા હતા. ભાજપની સામ, દામ, દંડ અને ભેદની નીતિ રહી છે. ભાજપે નાણાનો ગેરઉપયોગ કર્યો છે. કોંગ્રેસના આગેવાનો ટીમ સ્પિરિટથી પ્રચારમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા સક્ષમ હતા. જનતાનો જનાદેશ સર્વોપરી હોય છે. લોકોના મતને વેચનારાઓની જીત થઈ છે.