ભાજપે ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને તેના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત નક્કી કરી છે
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ચુંટણી તૈયારીઓ
ભાજપે મોદી કેબિનેટના મંત્રીઓની આખી ફોજ ઉતારી
એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત વિવિધ વિસ્તારોમાં આવશે
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ભલે સત્તાવાર કોઈ વાત ન હોય, પરંતુ ભાજપે ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને તેના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત નક્કી કરી છે. 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇને મીનાક્ષી લેખી સુધીના કુલ એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભેગા થશે.
7 ઓક્ટોબરે આવશે કેન્દ્રીય મંત્રીઓ
વિદેશ અને સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખી અને બી એલ વર્મા 6 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે છે. મીનાક્ષી લેખી વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકની મુલાકાત લેશે, જ્યારે બી.એલ.વર્મા મહામદાવાદ અને મહુધાની મુલાકાત લેશે. 7 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમાર, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, અજય ભટ્ટ, ભૂપેન્દ્ર યાદવ અને કિરેન રિજિજુ ગુજરાતની મુલાકાતે આવશે.
સ્મૃતિ ઇરાની આણંદ જિલ્લાની મુલાકાત લેશે
કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમાર કલોલ વિધાનસભા બેઠકની મુલાકાત લેશે તો સ્મૃતિ ઇરાની આણંદ જિલ્લાની પેટલાદ અને સોજીત્રા બેઠકની મુલાકાત લેશે. સાધ્વી જ્યોતિ અમદાવાદ જિલ્લાના વિરમગામ અને ધોળકાની મુલાકાત લેશે, જ્યારે અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાની મોડાસા વિધાનસભા બેઠકની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અમરેલીના સાવરકુંડલા અને રાજુલાની મુલાકાત લેશે, જ્યારે કિરણ રિજિજુ ભાવનગરના મહુવાની મુલાકાત લેશે.
તૈયારીઓ પુરજોશમાં
આ સાથે જ ભાનુ પ્રતાપસિંહ વર્મા બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદની મુલાકાત લેશે. 10 ઓક્ટોબરે અર્જુન મુંડા દાહોદની જાલોદ અને દાહોદ વિધાનસભા બેઠકની મુલાકાત લેશે અને ભાજપના નેતાઓને મળશે. આ ઉપરાંત પ્રતિભા ભૌમિક પાટણ જિલ્લાની શિવપુર વિધાનસભાની મુલાકાત લેશે. ગીર સોમનાથના ઉના અને સોમનાથ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લઇ ગિરિરાજસિંહ તૈયારીઓનો તાગ મેળવશે.