રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને ભાજપ બંને પોતપોતાની જીત પાક્કી કરવા માટે રાજનૈતિક ગણિતો માંડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ભાજપ સિવાય કેટલીક બેઠકો ઉપર અપક્ષ પક્ષો દ્વ્રારા ઉંચનીચ ન થાય તે માટે પણ તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપ કોંગ્રેસની તુતુ મેંમેંમાં અપક્ષનો પણ છે મહત્વનો રોલ
રાધનપુર વિધાનસભા પેટા ચુંટણીમાં હાલ ગરમાહટ છે. કોંગ્રેસ ભાજપનો તો સામસામો જંગ છે જ પણ અપક્ષનું પણ રાજનૈતિક ગણિત છે. જાણે વિજય પહેલેથી જ નક્કી હોય તેમ તખ્ત ગોઠવાઈ રહ્યો છે, ત્યારે VTVએ ખાસ NCP ઉમેદવાર ફરસુ ગોકલાણી સાથે વાત કરી હતી. જેમાં અપક્ષને ચૂપ રહેવાનું ઈજન અપાઈ રહી હોય તેવી મહેક આવી રહી છે.
પક્ષ પલટુ અલ્પેશ પટેલને પોતે જે છોડીને આવ્યા છે તે કોંગ્રેસની તો બીક છે જ પણ અપક્ષનો પણ ડર સતાવી રહ્યો છે. NCP ના ઉમેદવાર ફરસુ ગોકલાણીએ આ અંગે ટોલિફોનીક વાતમાં ઘટસ્ફોટ કર્યો હતો.
શું થઈ વાત ચીત?
NCPના ઉમેદવાર ફરસુ ગોકલાણી ઉંમેદવારી ફોર્મ પરત ખેંચશે? ફરસુ ગોકલાણીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતુ કે, પાર્ટીનુ મારી પર દબાણ છે. ઉમેદવારી પત્રક પરત ખેંચવા મારી પાર્ટીનુ દબાણ કરી રહી છે. જો પાર્ટી આદેશ કરેતો હુ ઉમેદવારી પરત ખેંચી લઈશ. અને પાર્ટી કહેશે તે ને હું સમર્થન કરીશ. ફરસુ ગોકલણી ઉમેદવારી ખેંચે તો રાધનપુરનુ ગણિત બદલાશે.
21 ઓક્ટોબરે થશે મતદાન છે અને 24 ઓક્ટોબરે મતગણતરી છે ત્યારે બેઠક વાઈઝ કયા પક્ષના કોણ ઉમેદવારો છે તેના ઉપર એક નજર મારી લઈએ
રાધનપુર બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં કોણ?
રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસના રઘુ દેસાઈ ટકરાશે. અહીંયા એનસીપીના ફરશુભાઈ ગોકલાણી પણ મેદાને છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસે અહીં પોતાના જ પૂર્વ ધારાસભ્યને હરાવવા રઘુ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રધુ દેસાઈ વચ્ચે અહીં સીધી ટક્કર થશે.
બાયડ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં કોણ?
બાયડ બેઠક પર ભાજપના ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુ પટેલ ટકરાશે. એનસીપીએ બાયડ બેઠક પર દૌલતસિંહ ચૌહાણને ટીકીટ આપી છે. ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયા. ત્યારે કોંગ્રેસે આ બેઠક પર પણ પોતાના પૂર્વ ધારાસભ્યને હરાવવા જશુ પટેલને ટિકિટ આપી છે. એનસીપીના દૌલતસિંહ ચૌહાણ ધવલસિંહ ઝાલાના વિસ્તારના હોવાથી ધવલસિંહ ઝાલાના ક્ષત્રિય મતો કપાય તેવી શક્યતા છે. જેનો ફાયદો કોંગ્રેસના જશુ પટેલને થાય તેમ છે.
અમરાઈવાડી બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં કોણ?
અમરાવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલની સામે કોંગ્રેસના ધરમેન્દ્ર પટેલ ટકરાશે. એનસીપીએ અહીંયા વિજયકુમાર યાદવને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધરમેન્દ્ર પટેલ બંને એક સમયે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ભાજપમાં કામ કરતાં હતા. બંને ઉમેદવારો આનંદીબેન પટેલ સાથે સંકળાયેલા હતા. આનંદીબેન પટેલે રાજીનામું આપતાં ધરમેન્દ્ર પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. એક સમયે ભાજપમાં એક સાથે કામ કરનાર જગદીશ પટેલ અને ધરમેન્દ્ર પટેલ આ બેઠક પર પેટા ચૂંટણીમાં સામ સામે ટકરાશે.
ખેરાલુ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં કોણ?
ખેરાલુ બેઠક પર ભાજપે અજમલ ઠાકોરને ટીકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે પણ અહીં ભાજપના ઠાકોર ઉમેદવારની સામે બાબુજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. તો એનસીપીએ પણ આ બેઠક પર પથુજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જો કે ભાજપના અજમલ ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ટક્કર થશે.
થરાદ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં કોણ?
થરાદ બેઠક પર ભાજપ માંથી જીવરાજ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જેની સામે કોંગ્રેસ માંથી યુવા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ઉમેદવારી કરી છે. એનસીપી માંથી અહીંયા પૂનમભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી છે. થરાદ બેઠક પર પટેલ-રાજપૂત-રબારી વચ્ચે જંગ ખેલાશે.
લૂણાવાડા બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં કોણ?
લૂણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસ માંથી ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી કરી છે. એનસીપી માંથી ભરતભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે.