કેન્દ્ર સરકાર દેશની સરકારી બેંકો પૈકી અડધાથી વધુનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જો બધુ જ યોજના પ્રમાણે રહ્યું તો આવનારા સમયગાળામાં દેશમાં માત્ર 5 સરકારી બેંકો રહેશે. સરકાર અને બેંકિંગ સેક્ટરના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે બેકિંગ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ સુધારવા માટે આ પ્રકારે ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ખાનગીકરણની તૈયારીમાં મોદી સરકાર
દેશમાં હવે માત્ર 5 જ સરકારી બેંક રહેશે
આ માટે સરકાર યોજનાના પ્રથમ તબક્કામાં બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિઁધ બેંકના મોટા ભાગના હિસ્સાનું વેચાણ કરશે.
સરકાર ખાનગીકરણ દરખાસ્ત તૈયાર કરશે અને કેબિનેટ સમક્ષ રજૂ કરશે
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે, "સરકાર ઇચ્છે છે કે દેશમાં ફક્ત 4 અથવા 5 જાહેર ક્ષેત્રની બેંકો જ રહે." હાલમાં દેશમાં 12 સરકારી બેંકો છે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે સરકારે 10 જાહેર બેંકોને મર્જ કરી અને તેમને 4 રાષ્ટ્રીયકૃત બેંકોમાં રૂપાંતરિત કરી છે. ત્યારબાદ, 1 એપ્રિલ 2020 થી, દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 12 રહી, જે 2017 માં 27 હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આવી યોજના નવી ખાનગીકરણ દરખાસ્ત મૂકવામાં આવશે, જે સરકાર હવે તૈયાર કરી રહી છે. ત્યારબાદ તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
RBIએ આપ્યા સુચન, દેશમાં 5થી વધુ ન હોવા જોઇએ સરકારી બેંક
કોરોના વાયરસને કારણે આર્થિક વિકાસની ગતિમાં પણ ઘટી જતા રોકડની સમસ્યાથી ઝઝૂમી રહેલી સરકાર નોન-કોર કંપનીઓ અને સેક્ટર્સની સંપત્તિઓનું વેચાણ કરીને મુડી એકત્ર કરવા માટે ખાનગીકરણ પર વધુને વધુ ભાર મુકી રહી છે. કેટલીક સરકારી સમિતિઓ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારે સુચન કર્યું હતું કે, દેશમાં પાંચથી વધારે સરકારી બેંક ન હોવા જોઇએ. એક સરકારી બેંકના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર પહેલેથી જ કહી ચૂકી છે કે, હવે સરકારી બેંકોનું આંતરિક વિલીનિકરણ કરવામાં આવશે નહીં.