કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને વિસ્તાર વધારવા પર વિચાર કરી રહી છે. મિડલક્લાસ લોકોને પણ મળી શકે છે લાભ.
સરકાર આયુષ્યમાન ભારત યોજનાનું વિસ્તરણ કરશે
પ્રીમીયમમાં ઘટાડો થશે અને વધુ લોકોને લાભ આપશે
હાલ આ યોજનાનો લાભ 10.74 કરોડથી વધુ પરિવારોને મળે છે
કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને વિસ્તાર વધારવા પર વિચાર કરી રહી છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર આ યોજનાની આરોગ્ય વીમા યોજનાનો વ્યાપ વધારવા અને નજીવા પ્રીમિયમ પર નવા લાભાર્થીઓને આપવા અંગે વિચારણા કરી રહી છે. આ યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2018 માં શરૂ કરી હતી. આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે. આ યોજના 10.74 કરોડથી વધુ પરિવારોને 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન કરે છે.
નજીવા પ્રીમીયમ પર લાભ મળશે
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ યોજનાના વિસ્તરણ વિશે જણાવતા કહ્યું કે, "અમે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને વધુ મજબૂત કરવાની પ્રક્રિયામાં છીએ, જેથી તે તમામ લોકોને તેનો ખૂબ લાભ મળી શકે. તેમણે જણાવ્યું હતું કે, ચુકવણીકારો માટે નજીવા પ્રીમિયમ પર ઉપલબ્ધ સુવિધા વધારવી જોઈએ કે કેમ તે અંગે પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે, જો આવું થાય છે, તો તે લાભાર્થીઓની વર્તમાન લીસ્ટ કરતા ઘણી વધારે બનશે.
મધ્યમ વર્ગના જૂથને પણ ફાયદો થશે
અધિકારીએ કહ્યું કે મધ્યમ વર્ગનું આવક જૂથ કે જે ન તો ધનિક છે અને ન તો ગરીબ. આ વર્ગના મોટાભાગના લોકો પાસે કોઈપણ આરોગ્ય વીમા યોજનાનું કવર પણ ઘણી વાર નથી હોતું. આ વર્ગનો મોટો ભાગ છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. આયુષ્માન ભારત યોજના અત્યારે ગરીબ અને નબળા વર્ગોનાં લોકોને સ્વાસ્થ્ય કવચ પ્રદાન કરે છે, જેમની ઓળખ સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી (SECC) અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) ડેટાબેઝનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય વીમાનું પ્રીમિયમ હાલમાં 1200-1300 રૂપિયાની આસપાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેનો ખર્ચ 60:40ના પ્રમાણમાં ઉઠાવે છે.
યોજનાનો વ્યાપ વધારશે સરકાર
ઘણા લોકો વાર્ષિક 1,00,000 રૂપિયા કમાય છે, જ્યારે ઘણા વાર્ષિક 10,00,000 રૂપિયા કમાય છે. આગળ જતા આવકમાં પણ વધારો થતો રહે છે. પરંતુ તેમ છતાં તેઓ ઘણીવાર આરોગ્યનો તમામ ખર્ચ ઉપાડી શકતા નથી. આ જ કારણ છે કે આપણે લાભાર્થીઓની યાદીનો વ્યાપ વધારવાની જરૂર છે અને સરકાર આ યોજનાનો વિસ્તાર કરવા ગંભીરતાથી વિચારી રહી છે.