બજેટ પૂર્વે કેન્દ્ર સરકારે RBI પાસે 10,000 કરોડના વચગાળાના ડિવિડન્ડની માંગ કરી છે, સરકાર ઓછા ટેક્સ કલેક્શનથી પરેશાન છે. ટેક્સમાં ઘટાડો અને ડિસઇન્વેસ્ટમેન્ટથી મળતી આવકમાં ઘટાડો આ માંગ પાછળનું મુખ્ય કારણ મનાય છે. સરકાર 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ બજેટ રજૂ કરવા જઈ રહી છે.
ડિવિડન્ડની માંગ અંગે RBIએ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી
આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે RBI પાસેથી વચગાળાના ડિવિડન્ડની માંગ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ માનવામાં આવે છે કે સરકાર આ ખાધ પુરવા માટે RBI પાસેથી વચગાળાના ડિવિડન્ડની માંગ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે RBI પાસેથી વચગાળાના ડિવિડન્ડની માંગ કરી છે.
સરકાર દ્વારા વચગાળાના ડિવિડન્ડની માંગ અંગે RBIએ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં 15 ફેબ્રુઆરીએ યોજાનારી RBIની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં સરકારની માંગ પર નિર્ણય લેવામાં આવી શકે છે.
RBIએ ગયા વર્ષે સરકારને કેટલા વચગાળાના ડિવિડન્ડ પૂરા પાડવા એ માટે પોતાની બેલેન્સશીટ નું છ માસિક ઓડિટ ગોઠવ્યું હતું. RBI દ્વારા સરકારને વચગાળાના ડિવિડન્ડ આપવાની સિસ્ટમ વર્ષ 2016-17માં રજૂ કરવામાં આવી હતી. ત્યારે RBIએ સરકારને 10,000 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
આ પછી ગયા વર્ષે આરબીઆઈએ સરકારને 28 હજાર કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું હતું.
RBI કેવી રીતે નફો મેળવે છે?
નોંધનીય છે કે RBI પોતાનો નફો મુખ્યત્વે ચલણ વેપાર એટલે કે કરન્સી ટ્રેડિંગ અને સરકારી બોન્ડ્સની મદદથી મેળવે છે. આ લાભમાંથી RBI દ્વારા તેની કામગીરી અને આકસ્મિક જરૂરિયાતો જેટલું ભંડોળ પોતાની પાસે રાખીને બાકીનું ફંડ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ RBI દ્વારા પૂર્વ ગવર્નર વિમલ જલાનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે સરકારનું નાણાકીય વર્ષ અને RBIનું નાણાકીય વર્ષ બંને સરખા કરી દેવામાં આવે. અત્યારે સરકારનું નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચનું છે જયારે RBIનું નાણાકીય વર્ષ જુલાઈથી જૂન સુધીનું છે. આ સાથે સમિતિએ માત્ર અસાધારણ સંજોગોમાં જ સરકારને વચગાળાના ડિવિડન્ડ આપવાની વાત થઇ હતી.