જનતા દરબાર કાર્યક્રમ અંતર્ગત પ્રજાની સમસ્યા સાંભળી
UPમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરમાં મુલાકાત દરમિયાન બુધવારે ગોરખનાથ મંદિરના જનતા દરબાર કાર્યક્રમ અંતર્ગત પ્રજાની સમસ્યા સાંભળી. આ દરમિયાન જનતા દરબારમાં ગોરખપુર સહિત અલગ અલગ જિલ્લાના લગભગ 300 ફરિયાદીઓ આવ્યા હતા. CM યોગી એક પછી એક બધા જ ફરિયાદીઓ પાસે ગયા અને બધાની સમસ્યાઓ સાંભળી અધિકારીઓને ફરિયાદીની સમસ્યાનું નિવારણ લાવવા માટેના આદેશ આપી રહ્યા હતા. પણ આ બધા વચ્ચે એક ફરિયાદીએ કહ્યું કે અમે છેલ્લા 2 વખતથી આવી રહ્યા છે અને આજે ત્રીજી વાર આવ્યા છીએ પણ હજુ સુધી અમારી સમસ્યાનું નિવારણ આવ્યું નહીં. આ સાંભળતા જ CM યોગીએ હાજર અધિકારીઓ પ્રત્યે નારાજગી દર્શાવી અને અધિકારીઓને કહ્યું કે આવી ઘટના ભવિષ્યમાં ફરી ન થવી જોઈએ.
એક ધર્મપરિવર્તનનો કેસ પણ સામે આવ્યો
સાથે જ આ જનતા દરબારમાં એક ધર્મપરિવર્તનનો કેસ પણ સામે આવ્યો હતો. રામગઢતાલની એક મહિલાએ CM યોગીને જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા અમીરૂલ નામના એક વ્યક્તિએ તેને છેતરી તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને હવે તે મહિલાનો ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે. આ સાંભળી CM યોગીએ તરત જ અધિકારીઓને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા.
સૌથી વધુ ફરિયાદો હોસ્પિટલ અને સારવારને લઈ આવી
આ ઉપરાંત ઘણી બધી ફરિયાદો સામે આવી હતી. વિદેશમાંથી મૃતદેહ લાવવાથી લઈ જમીન વિવાદ અને પોલીસથી જોડાયેલી ઘણી બધી ફરિયાદો આવી. સૌથી વધુ ફરિયાદો હોસ્પિટલ અને સારવારને લઈ આવી. આ ફરિયાદો એવી હતી કે તેમના પરિવારોમાંથી કોઈને કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને સારવાર માટેના પૈસા નથી. આ બધા જ લોકોની ફરિયાદ સાંભળી તે લોકોને સારવારના ખર્ચની રકમ આપવાની વાત કરી છે.