કોરોના મહામારીના કારણે ક્રિકેટ પર લાગેલો વિરામ હવે ખતમ થવાના આરે છે. ઈંગ્લેન્ડની ટીમ જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમની યજમાની કરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને આ અંગેની જાણકારી આપી હતી.
ક્રિકેટ રસિયાઓ માટે ખુશ ખબર
ખાલી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ
ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો તા. ૮ જુલાઈથી એજિસ બાઉલમાં શરૂ થશે, બીજી ટેસ્ટ ૧૬ જુલાઈથી અને અંતિમ ટેસ્ટ મેચ ૨૪ જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થશે. ત્રણેય ટેસ્ટ બાયો સિક્યોર (સંક્રમણરહિત) વેન્યૂમાં રમાશે. આ શ્રેણી દરમિયાન સ્ટેડિયમમાં દર્શકો હાજર નહીં હોય.
ઈસીબીએ જણાવ્યું, વિન્ડીઝની ટીમ ટેસ્ટ શ્રેણી માટે એક મહિના પહેલાં એટલે કે ૯ જૂને જ ઈંગ્લેન્ડ આવી જશે. ટીમ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પ્રેક્ટિસ કરશે. વિન્ડીઝની ટીમને ત્રણ સપ્તાહ સુધી અહીં રાખવામાં આવશે. આ દરમિયાન ખેલાડી થોડા દિવસ ક્વોરન્ટાઇનમાં વિતાવશે. ત્યાર બાદ મહેમાન પ્રથમ ટેસ્ટ રમવા માટે એજિસ બાઉલ પહોંચી જશે.
વિન્ડીઝ સામે રમાનારી શ્રેણી માટે બે સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યાં છે, એજિસ બાઉલ અને ઓલ્ડ ટ્રેફર્ડ. આની પાછળનું કારણ એ છે કે આ બંને સ્ટેડિયમ હોટલની એકદમ નજીક આવેલાં છે. બાયો સિક્યોરિટીની યોગ્યતા પૂરી કરવા માટે આ હોટલમાં મેડિકલ સ્ક્રીનિંગની સુવિધા પણ હશે. જો કોઈ ખેલાડીમાં કોરોનાનાં લક્ષણ દેખાય તો તેના માટે આઇસોલેશન ક્ષેત્ર પણ હશે.
ઈસીબીના ઈવેન્ટ્સ ડિરેક્ટર સ્ટીવ એલવર્થીએ જણાવ્યું, ''અમારો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓ, મેચ ઓફિશિયલ્સ, વેન્યૂ સ્ટાફ અને બ્રોડકાસ્ટર્સને સુરક્ષિત વાતાવરણ આપવાનો છે. અમે સતત સરકાર અને મેડિકલ ટીમના સંપર્કમાં છીએ. આ એક પ્રસ્તાવિત કાર્યક્રમ છે. સરકારની મંજૂરી બાદ જ તેને અંતિમ રૂપ અપાશે. વિન્ડીઝ સામે શ્રેણી બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ સામે શ્રેણી રમવાની છે.