ચૂંટણીના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી હોવા છતાં બનાસકાંઠાના ભાભરમાં લૂંટની ઘટના ઘટી હતી. વેપારીના થેલામાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત રૂ.૧૮ લાખની મતા હતી, જેની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
બનાવની મળતી વિગત મુજબ સોના-ચાંદીના વેપારી મોડી રાતે દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે બે અજાણ્યા બાઇકસવાર તેમની સામે આવ્યા હતા. વેપારી કંઈ સમજે તે પહેલાં બંને લૂંટારુ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલા વેપારીએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી હતી.
પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના પગલે પોલીસે લૂંટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે વેપારીની દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરી રહી છે. પોલીસ અગાઉના ગુનેગારો અને પલ્સર બાઇકસવારની કડી મેળવી રહી છે. આ લૂંટને અંજામ આપવા માટે અગાઉથી રેકી થઈ હતી કે નહીં ઉપરાંત આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે નહીં કે પછી અજાણ્યા શખ્સો છે તેનો તાગ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.