જાન્યુઆરી 2020માં ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાતને પણ ટક્કર મારે તેવી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020 (GPBS) યોજાશે. તારીખ 3-4-5 જાન્યુઆરી ત્રણ દિવસ માટે 7 લાખથી વધુ પાટીદાર અને અન્ય સમાજના ઉદ્યોગપતિઓ અર્થતંત્રને વેગવંતુ કરવાનો પ્રયાસ કરશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન પાટીદારોની મુખ્ય સંસ્થાઓમાંની એક વિશ્વ પાટીદાર સમાજ-સરદારધામ, અમદાવાદ કરી રહ્યું છે.
હજારો પાટીદાર ઉદ્યોગપતિઓ દ્વારા અર્થતંત્રને વેગવંતુ કરવાનો પ્રયાસ
1 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ અને એક્ઝિબિશન યોજાશે
ગુજરાત અને વિદેશોમાંથી 7 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના
ગાંધીનગરમાં પાટીદારોની સંસ્થા સરદારધામ- અમદાવાદમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020 (GPBS) નું આયોજન થઈ રહ્યું છે. દેશમાં પ્રવર્તી રહેલી મંદી અને બેરોજગારીના પ્રશ્નો વચ્ચે યુવા ઉદ્યોગપતિઓ અને શિક્ષિત યુવાનોનું યોગ્ય જોડાણ કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર દ્વારા લોકભાગીદારીથી અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરદારધામ આ પ્રયાસ કરી રહ્યું છે. GPBSમાં ગુજરાત અને દેશ-દુનિયામાંથી 7 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં GPBSના ઉપક્રમે 26 પ્રમોશનલ કાર્યક્રમો યોજાઈ ગયા છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ અને અન્ય વિસ્તારોમાંથી પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ સરદારધામ, ટીમ GPBS 2020 , ટીમ GPBO અને ટીમ યુવાતેજ તેજસ્વીનીના મિત્રો ખુબ જહેમત ઉઠાવી રહ્યાં છે એટલે તેઓ પણ અભિનંદનને પાત્ર છે.
GPBSની વિશેષતાઓ
2018 બાદ 2020 અર્થાત્ દર બે વર્ષ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન થાય છે
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1 લાખ ચો.મી.ના વિસ્તારમાં GPBSનું આયોજન થશે
14થી વધુ મોટા ડોમ અને 5થી વધુ કોન્ફરન્સ હોલ બનાવી ઉદ્યોગપતિઓ એકબીજા સાથે ચર્ચા કરશે
એક હજારથી વધુ ઉદ્યોગોના સ્ટોલ અને એક્ઝિબિશન યોજાશે
ત્રણ દિવસમાં 7 લાખથી વધુ પાટીદાર સમાજ સહિતના મુલાકાતીઓ ભાગ લેશે
સ્ટોલ અને એક્ઝિબિશનમાં પાટીદારો સિવાયના 10 ટકા ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે
મહિલા ઉદ્યોગ સાહસિક તથા એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટસ માટે એક્ઝિબિશન સ્ટોલમાં ખાસ 50% વળતર
આર્થિક વિકાસના મુદ્દાઓ પર ખ્યાતનામ વક્તાઓની ઉપસ્થિતિમાં વિશેષ સેમિનાર
GPBS-2020ના મુખ્ય ઉદ્દેશો
એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા વેપાર-ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું.
સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવું.
શિક્ષીત અને દિક્ષીત યુવાઓને સન્માન સાથે રોજગારીની તકો પૂરી પાડવામાં ઉપયોગી થવું.
GPBSનું આયોજન કરનાર સરદારધામ સંસ્થા કોણ છે?
સરદારધામ પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ સંસ્થા છે. બંધારણના ઉદ્દેશોને સુસંગત સરદારધામ દ્વારા સમસ્ત પાટીદારની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્રસ્થાને રાખી કામગીરી કરે છે. પાટીદાર સમાજનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુટુંબ એટલે કે જરૂરીયાતમંદ કુટુંબોનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં લઈ સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્યબિંદુઓ નક્કી કર્યા છે.