ગીર-સોમનાથ: સૌ ભણે અને સૌ આગળ વધે રાજ્ય સરકાર દ્વારા સૂત્ર આપવામાં આવ્યુ છે. આ સૂત્ર ગીર ગઢડા તાલુકાના પાણખાણ ગામમાં પોકળ સાબિત થયું છે. પાણખાણ ગામમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી છે.
આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીમાં માત્ર 3 શિક્ષકો અભ્યાસ કરાવે છે. શાળામાં 172 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 3 શિક્ષકોને સહારે ચલાવાવમાં આવતા આ સ્કૂલમાં ઓરડાઓની પણ ઘટ છે. આ સ્કૂલમાં માત્ર 7 જેટલા ઓરડા છે. જેમાંથી 2 ઓરડા જર્જરિત હોવાના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા છે.
મહત્વનું છે કે પાણખાણ ગામમા 1800 જેટલી વસ્તી છે. સરકાર દ્વારા એક પ્રાથમિક શાળા તો બનાવવામાં આવી છે. જોકે પ્રાથમિક શાળા જર્જરિત થયાં બાદ અત્યાર સુધી રિપેરિંગ કામ કરાવવામાં આવતું નથી. એક તરફ જર્જરિત ઓરડા અને બીજી તરફ શિક્ષકોની ઘટ.
આપને જણાવી દઇએ કે શિક્ષકોની ઘટ હોવાના કારણે બેથી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે બેસીને ભણાવવામાં આવે છે. આ મામલે સ્કૂલ દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી. જોકે તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી.
આ સ્કૂલમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 172 વિદ્યાર્થીઓ સામે માત્ર 3 શિક્ષકો હોવાથી પણ તંત્ર દ્વારા નવા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છ. ત્યારે હવે આ સ્કૂલમાં રિપેરીંગ કામ અને શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે.