ગાંધીનગર: આજે વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. ત્યારે આજના દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 6 સરકારી વિધેયકો પર ચર્ચા કરાશે. જેમાં ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતોને લગતા વિધેયક પર ચર્ચા કરવામાં આવશે.
તેમજ ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા વિધેયક અને ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધારા વિધેયક પર પણ ચર્ચા કરાશે. સવારે 9.30 થી 2 વાગ્યા સુધી પ્રથમ બેઠક ચાલશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી બીજી બેઠકની શરૂઆત થશે.
જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને ત્યાર પછી ઉર્જા મંત્રી જાહેર અગત્યની બાબત પર ગૃહમાં નિવેદન આપશે. જેમાં કોઈ અગત્યની જાહેરાત થઈ શકે છે. તેમજ વિવિધ બોર્ડ કોર્પોરેશનના વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. ગઇકાલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી મુદ્દે કરેલા નિવેદન બાદ એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
ત્રીજા દિવસે ગૃહમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ ઓફ યૂનિટિનો મુદ્દો ભારે ચગ્યો હતો. જેને લઇને વિધાનસભામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને લઇને ભાજપ-કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા હતા.