ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે આજે રાજ્યના પાટનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક યોજાઇ હતા. આ બેઠકમાં રાજ્યમાં કોરોના વાયરસની મહામારીની કામગીરીને લઇને બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે ગાંધીનગર ખાતે આજે રાજ્યની કેબિનેટ બેઠક મળી હતી. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરના વાયરસથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં ચાલતી કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી. આ સાથે 20મી તારીખ બાદથી રાજ્યમાં શરૂ કરવામાં આવી રહેલા ઔદ્યોગિક એકમો બાદની સ્થિતિનો પણ ચિતાર મેળવવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની વચ્ચે 20 તારીખથી રાજ્યોમાં કેટલાંક ઓદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે આ એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ કોરોનાને લઇને સાવચેતી રૂપ પગલાની તકેદારીનું ધ્યાન રાખવા અંગે પણ જણાવામાં આવ્યું છે.
કેબિનેટ બેઠક બાદ મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન
રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ કેબિનેટ બેઠક બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ચણા, રાયડાની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે 50 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરાશે. ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને SMS કરીને બોલાવાશે. 27 એપ્રિલથી રાજ્ય સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. જેમાં 1925 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરાશે.
કેબિનેટ બેઠક બાદ મંત્રી કુંવરજી બાવળિયાનું પણ નિવેદન
રાજ્યમાં યોજાયેલી કેબિનેટ બાદ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાણીની અછત ન સર્જાય તેની વ્યવસ્થા કરાઇ છે. રાજ્યમાં 6 ઝોનમાં પાણીના પ્રોજેક્ટ શરૂ થશે. જેને લઇને 80થી 90 ટકા કાર્ય 2 દિવસમાં શરૂ થશે. રાજ્યના પાંજરાપોળ અને ગૌશાળાને સહાય અપાઇ છે. બેઠકમાં દૂધ વિતરણ મામલે સમસ્યા સામે આવી હતી, જે મામલે વિચારણા ચાલી રહી છે.