કોરોનાનો જ્યાં જન્મ થયો છે એ ચીનની એક પ્રખ્યાત કહેવત છે કે ‘દરેક સારી વસ્તુમાં કંઇક ખરાબ હોય છે અને દરેક ખરાબ વસ્તુમાં કંઇક સારું હોય છે.’
-ફન દા'મેન્ટલ (પરાગ દવે )
ચીને દુનિયાને સૌથી મોટી વોલ અને સૌથી નાના વાઇરસની ભેટ આપી છે અને બદલામાં દુનિયાના બધા દેશોએ ચીનને ધરાઇને શ્રાપ આપ્યાં છે. કોરોના પોતે ચાઇનિઝ હોવાથી તે ઘણો નઠારો તો છે જ પરંતુ તે અનેક બાબતો મનુષ્યને શિખવે પણ છે. આપણાં કોઇ મોટિવેશનલ સ્પિકર્સે અત્યાર સુધી કેમ કોરોના પાસેથી શિખવા જેવી બાબતો વિશે વિડિયો નથી બનાવ્યો તે એક અજાયબી જ છે.
મોટિવેશનલ સ્પિકર્સે કોરોના પાસેથી શીખવા જેવું
પોતાના જન્મ વખતે તે માત્ર વિમાનોમાં ફરતો હતો પણ સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડવા માટે તેણે એ દોમ-દોમ સાહ્યબી જતી કરી અને તે બસમાં, ટ્રેનમાં, રિક્ષામાં, સ્કુટર પર અને શાકભાજીની લારી પર પણ ફરવા લાગ્યો અને પોતાની સાદગી વડે તેણે સૌના ફેફસાંમાં અને ફેફસાં નહીં તો મનમાં અદકેરું સ્થાન મેળવ્યું છે. કોરોનાના જીવનના સંઘર્ષના દિવસોમાં તો લોકડાઉન હતું અને તેને સરળતાથી માનવશરીરો મળતા નહોતાં ત્યારે તે લિફ્ટના બટનો પર પણ કલાકો સુધી નવરોધૂપ બેસી રહેતો. પણ પછી તો એવો સમય આવ્યો કે વાઇરસ ઓછાં અને તેમના માટે પ્રવેશવા લાયક માનવશરીરો વધારે હતા ત્યારે કોરોનાએ લોટરી સિસ્ટમ શરૂ કરી હતી. કોરોના આપણને પડકાર ઝિલવાનું પણ સ્વીકારે છે. કોઇ જિલ્લા કે રાજ્યો કે દેશ જાહેર કરે કે તેમને ત્યાં એક પણ કેસ નથી ત્યારે કોરોના એ પડકાર ઝિલી લે છે અને થોડાં જ દિવસોમાં એ જિલ્લા, રાજ્યો કે દેશના નાગરિકો રેમડેસિવિરની લાઇનોમાં ઊભા રહી જાય એવો જ્વલંત દેખાવ કરે છે.
અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય છે તેમ કોરોનાને માનવીના ફેફસા દેખાય છે
ઇતિહાસમાં કોઇ રોગને કોરોના જેટલી પ્રસિદ્ધિ હજુ સુધી મળી નથી. દુનિયાના દરેક છાપાં-ટીવી અને ફેસબુક-ટ્વિટર પર દરરોજ તેના કુંડાળાવાળા ફોટો છપાય છે. આટ-આટલી પ્રસિદ્ધિ પછી તો કોઇપણને અભિમાન આવી જાય અને પોતાના ધ્યેયથી ચલિત થઇ જાય એ સ્વાભાવિક છે પણ કોરોના તો સૌથી નિરાળો છે અને તે હવામાં જરાય ઊંચે ઉડવા લાગ્યો નથી. એ તો આજેય ગમે તેવી સર્ફેસ પર, લોકોના મોં પર, આંખ પર અને હાથ પર જ બેઠો રહે છે અને તક મળે એ સાથે કોઇના ગળા અને ફેફસાંમાં પહોંચીને લક્ષ્ય સિદ્ધ કરે છે. મહાભારતના અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી તેમ કોવિડને માત્ર મનુષ્યના ફેફસાં જ દેખાતા હોય એવું લાગે છે. માનવશરીરમાં પ્રથમ વખત પ્રવેશતો હોવા છતાં તે અથડાતો-કૂટાતો અને રસ્તામાં હળદર અને તુલસીના અર્ક સાથે ઘર્ષણ કરતો કરતો ફેફસાં સુધી પહોંચવા સતત યત્ન કરતો રહે છે. આપણા શરીરની રચના આપણને ખબર નથી હોતી પણ કોરોના શરીરમાં તમામ ગલી-કૂંચી અને હાઇ-વે જાણતો હોય એવી રીતે આગળ વધે છે.
કોરોનામાં નેતૃત્વની કળા ઠાંસીઠાંસીને ભરી છે
બીજું, કોરોનામાં નેતૃત્વની કળા ઠાંસીઠાંસીને ભરી છે. જન્મતાવેંત તેણે રોગ-સમાજનું નેતૃત્વ લીધું છે અને પોતે ઉત્તમ દેખાવ કરીને બીજા રોગોને પ્રેરણા પણ પૂરી પાડે છે. કોરોના જે શરીરમાં પ્રવેશે છે એ શરીરમાં બીજા જે કોઇ રોગ હોય એમને કોરોના પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રેરિત કરે છે. જે શરીરમાં ડાયાબિટીસ 15-20 વર્ષથી ડાહ્યોડમરો થઇને રહેતો હોય અને એક-બે ગોળીથી વશમાં રહેતો હોય એ ડાયાબિટીસને કોરોના જબરદસ્ત પ્રોત્સાહિત કરે છે.
આળસુ બની ગયેલા ડાયાબિટીસને કોરોના તેની જવાબદારી અને ક્ષમતાઓનું ભાન કરાવે છે અને કહે છે કે, “હે ડાયાબિટીસ, તું હવે તારી મર્યાદાઓથી ઉપર ઉઠ” અને કોરોનાની એક હાકલે એ ડાયાબિટીસ તેના દર્દી સાથેના 15-20 વર્ષના સંબંધો ભૂલી જાય છે અને પેલી રાજાની રાજકુંવરી પેઠે દિવસે ના વધે એટલો રાત્રે અને રાત્રે ના વધે એટલો દિવસે વધવા લાગે છે. ડાયાબિટીસની જેમ જ દર્દીના શરીરમાં જો સુષુપ્ત હ્રદયરોગ પડ્યો હોય તો તેને પણ કોરોના જાગૃત કરે છે.
અવનવી દવાઓ, ઇન્સ્યુલિન, બાયપાસ સર્જરીઓના કારણે હ્રદયરોગ અને ડાયાબિટીસ પોતાનો રુઆબ અને ઠસ્સો ગુમાવી ચૂક્યા હતા. દર્દીઓમાં આ બે રોગનો ખાસ કોઇ ડર રહ્યો નહોતો કારણ કે બંને માટે સેંકડો દવાઓ પેલા કેમિસ્ટ્સ રાખતા થઇ ગયા હતા. પણ કોરોનાએ જન્મ લેવાના દોઢ જ વર્ષમાં આ બંને રોગોએ ગુમાવેલો તેમનો ખૌફ પરત અપાવ્યો છે. જેમના શરીરમાં આ બંને રોગો નિવાસ કરે છે તે દર્દીઓ કોરોનાના નામથી જ છળી મરે છે કારણ કે તેમને ખ્યાલ છે કે કોરોના કેપ્ટન બનીને આ બંને ખેલાડીઓ પાસે ઓલરાઉન્ડ દેખાવ કરાવી શકે છે. ટૂંકમાં, કોરોના પર બીજા રોગોનો પ્રભાવ નથી ઊભો થતો પણ કોરોના બીજા રોગોને ઊંચા-નીચા કરી દે છે.
કોરોના આપણને શિખવે છે કે નિઃસ્પૃહી બનો
કોરોના કર્મમાં રત રહે છે અને તે નેતૃત્વના ગુણો પણ ધરાવે છે ઉપરાંત તે આપણને શિખવે છે કે નિઃસ્પૃહી બનો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે “કર્મ કરતા રહો અને ફળની આશા ના રાખો” એ ઉપદેશને કોરોના બરાબર સમજ્યો છે. કોરોનાના કારણે એક દિવસમાં 500ના મૃત્યુ થયા હોય પણ સરકાર એમ જાહેર કરે કે કોરોનાથી માત્ર 100 મૃત્યુ થયા છે તો પણ કોરોનાને કોઇ ફર્ક પડતો નથી. પોતે જે મહેનત કરી છે તેની ક્રેડિટ ના મળે તો પણ કાર્ય કરતા જવું એ આપણે કોરોના પાસેથી શિખવા જેવું છે.
કોરોના શિખવે છે કે, સતત અપગ્રેડ થતાં રહો
બીજું, કોરોના એ પણ શિખવે છે કે સતત અપગ્રેડ થતાં રહો. કોરોનાએ નોકિયા મોબાઇલ કંપનીની સ્ટોરી વાંચી છે કે નહીં એ વિશે અત્યાર સુધી કોઇ સંશોધન થયું નથી પણ તેની પદ્ધતિ જોતાં લાગે છે કે એ તમામ સક્સેસ અને ફેઇલ્યોર સ્ટોરી વાંચીને આવ્યો છે. વુહાનના વાઇરસ તરીકે જન્મેલો કોરોના પોતાના ભાથાંમાં સતત નવાં-નવાં તીર ઉમેરતો રહે છે. અગાઉ તે માત્ર વુહાનનો વતની કહેવાતો પણ હવે તો તે યુકે, બ્રાઝિલ, આફ્રિકા અને ભારતીય તરીકેના આધારકાર્ડ પણ બનાવડાવી ચૂક્યો છે. કોરોના પાસેથી શિખવા જેવી મુખ્ય બાબત એ છે કે બીજાની લપમાં પડ્યાં વગર પોતાનામાં મસ્ત રહેવું જોઇએ. કોરોના કામ વગર બહાર નિકળતો નથી એ પણ યાદ રાખો!