નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની ઉંમરે લાંબી સારવાર બાદ નિધન થયું છે. વાજપેયીજીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા 24 કલાકથી તેમની તબિયત ખુબજ નાજૂક હતી અને તેમનું અવસાન થયું છે.
જોકે બે દિવસથી સતત તેમની તબીયત ખરાબ રહેતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 93 વર્ષના પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગઇ 11મી જૂનથી હોસ્પિટલમાં દાખલ હતા. વાજપેયીને કિડનીમાં ઇન્ફેકશન અને પેશાબ ઓછો થતા તબિયત વધુ લથડી હતી. અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ 2009થી જ વ્હિલચેર પર હતા તો થોડાંક સમય પહેલાં જ તેમને કેન્દ્ર સરકારે ભારત રત્નથી સમ્માનિત કર્યા હતા.
અટલજી પોખરણમાં કર્યું હતું પરમાણું પરિક્ષણ
UNની સામાન્ય સભામાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. 11 મે 1998ના રોજ પોખરણમાં પરમાણું પરીક્ષણ કર્યું હતું. 19 ફેબ્રુઆરી 1999માં લાહોર બસ સેવા શરૂ કરી હતી. મે 1999માં પાકિસ્તાન સાથે કારગીલ યુદ્ધ થયું હતું. ડિસેમ્બર 1999માં એર ઇન્ડિયા ફ્લાઇટ હાઇજેક થઇ. યાત્રીઓના બદલામા આતંકીઓને છોડવા પડ્યા હતા. 13 ડિસેમ્બર 2001માં સંસદ પર આતંકી હુમલો થયો હતો. 1992માં પદ્મ વિભૂષણ સન્માન મળ્યું. 2015માં કેન્દ્ર સરકારે ભારત રત્ન એવોર્ડ આપ્યો હતો.
અટલજી કવિ પત્રકાર અને છેલ્લે રાજનેતા બન્યા હતા
25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલીયરમાં જન્મ થયો હતો. કાનપુરમાં રહીને MA સુધીનો અભ્યાસ કર્યો હતો. કવિ પત્રકાર છેલ્લે રાજનેતા બન્યા હતા. વર્ષ 1942માં ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા. 1951માં જનસંઘની સ્થાપના કરી. 1957માં પ્રથમ વખત સાંસદ બન્યા. ઉત્તરપ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ અને દિલ્લીથી સાંસદ રહ્યા હતા. વર્ષ 1968થી 1973 સુધી ભારતીય જનસંઘના અધ્યક્ષ રહ્યા હતા. મોરારજી દેસાઇની સરકારમાં વિદેશ મંત્રી બન્યા હતા. વર્ષ 1980થી 1986 સુધી ભાજપના અધ્યક્ષ રહ્યા હતા. 16 મે 1996ના રોજ પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા હતા. 19 માર્ચ 1998ના રોજ બીજી વખત પ્રધાનમંત્રી બન્યા. ઓક્ટોબર 1999માં ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. વર્ષ 2004માં રાજકારણમાંથી સન્યાસ લીધો. વર્ષ 2009થી વ્હીલચેર પર હતા. આજે લાંબી માંદગી બાદ અટલજીનું અવસાન થયું છે.